New Update
અંધજનો અને દિવ્યાંગો માટે કામ કરતી સામાજિક સંસ્થા
રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા કરવામાં આવ્યું આયોજન
શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું
પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ શાસ્ત્રીના સુમધુર કંઠે કથાનું રસપાન
કથા દરમ્યાન શ્રીજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાય
ભરૂચ શહેરના મકતમપુર રોડ પર રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથા દરમ્યાન શ્રીજી જન્મોત્સવ પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ સંધ્યા સમયે સત્સંગ કીર્તનમાં ઇન્દોરના ગાયક વૃંદએ ભજનોની રમઝટ બોલાવી હતી.
ભરૂચ શહેરના મકતમપુર રોડ પર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલ જ્ઞાનસાધન આશ્રમના મેદાન ખાતે ગત તા. 18 ડિસેમ્બરના રોજથી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દેશ-વિદેશમાં 400થી વધુ કથા કરનાર તેમજ સોલા ભાગવત વિધાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરનાર અને સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત (શ્રીમદ્ ભાગવત) પર PHD કરનાર વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી પોતાની અમૃતમય વાણીમાં તા. 24 ડિસેમ્બર-2025’ સુધી દરરોજ બપોરે 3થી 6 કલાક સુધી કથાનું રસપાન કરાવી રહ્યા છે.
શિવ મહાપુરાણ કથા દરમ્યાન ચોથા દિવસે શ્રીજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ ભગવાન ગણેશજીની શોભાયાત્રા કથા સ્થળ પર આવી પહોંચી હતી, જ્યાં ભવ્ય આતશબાજી સાથે શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કથા મંડપમાં શિવ અને ગણેશ પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના મકતમપુર સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી જયપાલસિંહ માંગરોલા તથા તેમના ધર્મપત્ની કાજલબેન માંગરોલાએ ગણેશ પૂજન કર્યું હતું, જ્યારે ચેનલ નર્મદાના સર્વિંન ઠક્કર તથા તેમના ધર્મપત્ની હિરલબેન ઠક્કરએ શિવપૂજન કરી ધન્યતા અનુભવી હતી.
આ સાથે જ સંધ્યા સમયે આયોજિત સત્સંગ કિર્તનમાં ઇન્દોરના ગાયક વૃંદના કલાકાર સ્વાતિ કાલેએ શિવ ભજનોની રમઝટ બોલાવી હતી. જેમાં ઉપસ્થિત સૌકોઈ શ્રોતાઓ શિવોમય બન્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, રાષ્ટ્રીય અંધજન મંડળના પ્રમુખ તેમજ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, માનદ મંત્રી પ્રદિપ પટેલ, ફંડરેઝિંગ કમિટીના ચેરમેન કૌશિક પંડ્યા, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાએ મહાઆરતીનો લ્હાવો લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
Latest Stories