જીવનું શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ
જંબુસરના કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર
ભક્તોની અનન્ય આસ્થાનું પ્રતીક
સમુદ્ર દેવતા દિવસમાં 2 વખત કરે છે અભિષેક
શ્રાવણ માસમાં દૂર દૂરથી શ્રધ્ધાળુઓ ઉમટ્યા
ભરૂચના કંબોઈ સ્થિત અરબી સમુદ્રના કિનારે આવેલા ગુપ્તેશ્વર મહાદેવની ગણના ભારત દેશના ગણ્યાં ગાંઠયાં ગુપ્તર્તીથમાં થાય છે. જેને આપણે સ્તંભેશ્વર તીર્થ તરીકે ઓળખીએ છે.આ સ્થળે દેવાધિદેવ મહાદેવને સમુદ્ર સાક્ષાત દિવસમાં બે વખત અભિષેક કરે છે.
ભરૂચના જંબુસર તાલુકાના કાવી-કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તિર્થનો મહિમા પ્રત્યેક યુગમાં વિવિધ રીતે ગવાયો છે. કાર્તિકસ્વામીએ તારકાસુર પર અહીં વિજય મેળવ્યો તેથી ‘વિજયક્ષેત્ર તથા ‘સ્કંધ ક્ષેત્ર તારકાસુરને મારવાનું કાર્તિકેયજીનું પાપ બળી જતાં બ્રહ્માજીએ નિમિત્તથી પ્રકૃતિથી સૃષ્ટિના અંતે થનારા ત્રણ પ્રકારના કાર્યો આ ક્ષેત્રમાં કર્યા તેથી તે ‘બ્રહ્મ ક્ષેત્ર તરીકે અને કપીલ મુનીએ તપોસિધ્ધી મેળવી એટલે ‘કપીલ ક્ષેત્ર કહેવાયું. બ્રહ્માજીના પુત્ર ‘ગુપ્ત ક્ષેત્ર તરીકે ઓળખાયું. કપીલમુની, યાજ્ઞવકલીય ઋષિ, દધીચીમુની પણ અહીં થઇ ગયાનું કહેવાય છે.પરશુરામને ‘પરશુ અહીં મળ્યું હતું.
દ્વારકા જતાં પહેલા અર્જુને આ તિર્થની મુલાકાત લઇ અહીંની મુશ્કેલીઓ દુર કરી હતી. આવું પૌરાણિક મહાત્મ્ય છે સ્તંભેશ્વર મહાદેવનું.ભારત ભૂમિ પર ત્રણ ગુપ્ત શિવલીંગનો ઉલ્લેખ સ્કંધપૂરાણમાં છે. જેમાંનું એક સૌરાષ્ટ્રના દરિયાકાંઠે છે. જ્યારે બીજુ ખંભાતના અખાત ઉપર એટલે કે સૌરાષ્ટ્રમાં સોમનાથ અને ખંભાતના અખાતમાં કંબોઇ. જોકે ત્રીજાનું સ્થાન કદાચ મળ્યું નથી કે પ્રચલિત થયું નથી. કંબોઇના શિવલીંગનો દોઢ દાયકા પહેલા જ બધાને ખ્યાલ આવ્યો.
વડોદરાથી 85 કિલોમીટર અને ભરૂચથી 80 કિલોમીટરના અંતરે જંબુસર તાલુકાના કાવી-કંબોઇ નજીક મહી નદી ખંભાતના અખાતમાં જઇને મળે છે. આ સંગમ સ્થળે દેવોના સેનાપતિ રહી ચૂકેલા કુમારસ્કંદ દ્વારા શિવલીંગની સ્થાપના કરાઇ હતી. આ પૌરાણિક જગ્યા હાલમાં આસ્થાળુઓના કેન્દ્રસમી બની ગઇ છે.
દરિયામાં આવતી ભરતીના સમયે ભોળાનાથ શંભુ ભકતોથી દુર ઘોર ઉપાસનાની મુદ્રામાં આવી જતાં હોય તેમ શિવલિંગ દરિયાના પાણીમાં ગરકાવ થઇ જાય છે અને ઓટ થતાંની સાથે શિવલિંગ પુન: દ્રષ્ટિમાન થાય છે. દરિયા દેવ અહીં સામે ચાલીને દિવસમાં 2 વખત દેવાધિદેવ મહાદેવને અભિષેક કરવા ઉમટી પડે છે. સમગ્ર શ્રાવણ મહિનામાં સ્તંભેશ્વર ર્તીથ ખાતે રાજય અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડતા મેળા જેવો માહોલ સર્જાઇ છે. શ્રાવણ મહિનામાં સ્તંભેશ્વર ખાતે લઘુરૂદ્ર, હોમાત્મક હવન, અભિષેક, વિશેષ પુજા સહિત ભજન-કર્તિન નિરંતર ચાલ્યા કરે છે.
જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આપણે કર્યા ગુપ્ત તીર્થ તરીકે ઓળખાતા સ્તંભેશ્વર મહાદેવના દર્શન...સમુદ્રની આગોશમાં ધ્યાન મુદ્રામાં બિરાજીત ભગવાન શિવની લીલા અપરંપાર છે.