ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત જે.બી.મોદી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ શાળાના વાર્ષિક મહોત્સવ અંતર્ગત મનોરંજન તેમજ હાસ્ય અને વિવિધ સંદેશ આપતા નાટકો શાળાના બાળકો દ્વારા રજુ કરાયા હતા.
શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા તેમની વિવિધ પ્રતિભાને વ્યક્ત કરવા દર વર્ષે વાર્ષિકોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરવામાં આવે છે. પરંતુ, એ એકરાગીતાથી કંઇક અલગ અને નવીન પ્રયત્ન રૂપે ભરૂચ સ્થિત જે.બી.મોદી વિદ્યાલયના ટ્રસ્ટી નિક્કી મહેતાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આ વર્ષે ધોરણ 6, 7 અને 8 ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર આધારિત નાટકો રજૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અભિનય અને નાટક વિધાર્થીઓને વિવિધ ભાવની અભિવ્યક્તિ કરવાની તક આપે છે. ઉપરાંત, જીવન મૂલ્યો પર આધારિત નાટકો ધ્વારા વિધાર્થીઓમાં પ્રામાણિકતા, સાચું બોલવું, વડિલોને માન આપવું, સહિષ્ણુતા, અનુકંપા જેવા મૂલ્યોની જાળવણી તથા શ્રવણ અને અભિનય જેવા કૌશલ્યો નો વિકાસ થાય, એવા ઉત્કૃષ્ટ હેતુ સાથે આયોજિત કરાયેલ બાળ નાટકો અંતર્ગત અગાઉ રજૂ થયેલ ધોરણ 6 તથા 7 અને ધોરણ 8 માં ભણતા 41 પૈકી 40 વિદ્યાર્થીઓ દ્વારા 3 નાટક રજૂ કરાયા.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા રોટેરિયન અર્પણ સુરતી ઉપસ્થિત રહ્યા હતા. એક પિતાની પરિવારમાં મહત્વની ભૂમિકા, રાણી લક્ષ્મીબાઈની વીરતા અને સ્વરાજની ઝંખના તેમજ ગુજરાત અને ગુજરાતીઓના ગૌરવ - વગેરે વૈવિધ્યસભર વિષય વસ્તુને આવરી લેતી બાળકોની વિવિધ અભિવ્યક્તિની સાથે સાથે કાર્યક્રમ અંતર્ગત ધોરણ 8 ના વિદ્યાર્થીઓ પૈકી ગત વર્ષે સ્કૂલમાં સો ટકા હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓને તથા રમત ગમત અને અન્ય વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ રજૂઆત કરનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
વિવિધ કૃતિઓની રજૂઆત બાદ અતિથિ અર્પણ સુરતીએ બાળકોને અભિનંદન અને આશિષ પાઠવ્યા. તેમણે બાળકોની મહેનત તથા તેમના અભિનય, વક્તવ્ય, આત્મવિશ્વાસ જેવા કૌશલ્યોને બિરદાવ્યા.તથા આવી કૃતિઓ દ્વારા બાળકોને શીખવા મળતા જીવન મૂલ્યોની વાત કરી. સૌ વાલી મિત્રોએ પણ ખૂબ ઉત્સાહ પૂર્વક બાળકોની સર્જનાત્મકતાનો આનંદ માણ્યો હતો.