ગીર સોમનાથ : ધંધામાં સેટ ન થવા દેવાની રીસે પિસ્તોલ વડે યુવક પર ફાયરિંગ, હત્યારો હરિદ્વારથી ઝડપાયો...
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ભરચક એવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં સરાજાહેર ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતારતા પંથકમાં ચકચાર મચી છે
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ભરચક એવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં સરાજાહેર ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતારતા પંથકમાં ચકચાર મચી છે. નિતેશ સરમણ કટારીયા નામના યુવકને રમેશ ઉર્ફે ગોવાળિયો અરજણ ચાવડા નામનો યુવક પિસ્તોલ વડે ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી નાશી છૂટ્યો હતો. સમગ્ર ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ LCB, SOG સહિત વેરાવળ સીટી પોલીસની સર્વેલન્સ ટીમે હત્યારાને પકડી પાડવા રાત દિવસ એક કર્યા હતા, ત્યારે સપ્તાહ બાદ પોલીસને બાતમી મળી હતી કે, આરોપી હરિદ્વારમાં છુપાયો છે, જેથી વેરાવળ પોલીસે હરિદ્વાર પોલીસની મદદ મેળવી આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો. આરોપી યુવકની પ્રાથમિક પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થયા હતા. પોલીસ તપાસમાં મૃતક અને તેનો ભાઈ આરોપીને ધંધામાં સેટ ન થવા દેતા હોવાથી આરોપીએ કંટાળી જઈ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આરોપી રમેશે ગત સપ્ટેમ્બર માસમાં પોતાની પિકઅપ વાનમાં માલભાડુ કરવા ઉત્તરપ્રદેશ જતાં, ત્યાંથી 50 હજારમાં રૂપિયામાં પિસ્તોલ અને 5 કારતૂસ ખરીદ્યા હોવાનું પોલીસને જણાવ્યુ હતું. એટલું જ નહીં, આરોપીના રડારમાં મૃતક ઉપરાંત વધુ 3 શખ્સો હોવાથી તેઓની પણ હત્યા કરવાની ફિરાકમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હાલ તો પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માટેની તજવીજ હાથ ધરી છે.