સૌરાષ્ટ્રની વિવિધ બેઠકો પરથી ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યું નામાંકન, જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જંગ માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જંગ માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે, ત્યારે આજરોજ સૌરાષ્ટ્રની વિવિધ બેઠકો પરથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાનું નામાંકન પત્ર ભરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાતે આજે બપોરે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. સાવરકુંડલાની પ્રાંત કલેકટર કચેરી ખાતે પ્રતાપ દૂધાત સાથે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ પ્રતાપ દુધાતે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભાજપના ઉમેદવાર મહેશ કસવાળા સામે પ્રહારો કરી તેમને ટીવી ડીબેટોના નેતા ગણાવ્યા હતા.
અમરેલી જીલ્લાની લાઠી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વીરજી ઠુંમરે પણ ઉમેદવારી નોંધાવી હતી. સૌપ્રથમ વિરજી ઠુંમરે લાઠી કાર્યાલય ખાતે સભા સંબોધી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં સમર્થકોની ઉપસ્થિતિમાં લાઠી પ્રાત કચેરી ખાતે ઉમેદવારી પત્ર રજુ કર્યુ હતું. આ દરમ્યાન માજી ઘારાસભ્ય ઠાકરશી મેતલીયા, પ્રદેશ મહીલા પ્રમુખ જેની ઠુંમર સહીતના કોગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ વિરજી ઠુંમરે લાઠી વિધાનસભામાં મોટી લીડથી જીતનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.
હવે કચ્છ જીલ્લાની વાત કરીએ તો, રાપર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર વીરેન્દ્રસિંહ જાડેજાએ પણ પોતાનું નામાંકન ભર્યું હતું. આ દરમ્યાન વીરેન્દ્રસિંહ જાડેજા સાથે મોટી સંખ્યામાં તેઓના સમર્થકો તેમજ આગેવાનો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, નામાંકન ભર્યા બાદ વીરેન્દ્રસિંહ જાડેજાએ જંગી બહુમતી સાથે પોતાની અને ભારતીય જનતા પાર્ટીની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તો બીજી તરફ, સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાની જંગી જાહેરસભા યોજાય હતી. ત્યારબાદ કિરીટસિંહ રાણા પોતાનું ઉમેદવારી પત્ર ભરવા પ્રાંત કચેરી ખાતે પહોચ્યા હતા. આ દરમ્યાન જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણા, દસાડાના ઉમેદવાર પી.કે.પરમાર સહીત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.