-
હિંમતનગરના મોતીપુરા નજીકથી વાહનચાલકોને હાલાકી
-
અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર સર્વિસ રોડ બિસ્માર
-
સર્વિસ રોડ બિસ્માર બનતા શહેરીજનો-વેપારીઓ પરેશાન
-
પહેલા જ વરસાદે રોડ રસ્તાની હાલત અત્યંત ખરાબ કરી
-
વહેલી તકે માર્ગનું સમારકામ હાથ ધરાય તેવી લોકોની માંગ
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના મોતીપુરા નજીકથી પસાર થતાં અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પરના સર્વિસ રોડ અત્યંત બિસ્માર બનતા શહેરીજનો અને વેપારીઓ પરેશાન બની ચૂક્યા છે. પહેલા જ વરસાદે રોડ રસ્તાની હાલત ખરાબ કરી નાખતા વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાંથી પસાર થતાં અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર મોતીપુરા વિસ્તારમાં ઓવરબ્રિજનું નિર્માણ કામ પૂર્ણ થયું છે. જોકે, હિંમતનગર શહેરમાં પ્રવેશવા અને હિંમતનગર શહેરમાંથી નેશનલ હાઇવે પર જવા માટે સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડતો હોય છે. હિંમતનગરના મોતીપુરાથી સહકારી જીન સુધીનો સર્વિસ રોડ બિસ્માર થતાં સ્થાનિક વેપારીઓ તેમજ અહીંથી પસાર થતાં હજારો વાહન ચાલકો પરીક્ષાનીનો સામનો કરી રહ્યા છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આગામી દિવસોમાં વરસાદ વધશે તેના પહેલા સમારકામ કરવા માટેની સ્થાનિકો માગ કરી રહ્યા છે.
છેલ્લા 8 વર્ષથી અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવેની કામગીરી ચાલી રહી છે. જોકે હજુ પણ કેટલીક કામગીરી અધુરી છે. હિંમતનગર શહેરના મોતીપુરાથી સહકારી જીન વચ્ચેના સર્વિસ રોડ પર મસમોટા ખાડા પડવાના કારણે અનેક વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સર્વિસ રોડ પર મોટા ખાડા હોવાના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો પણ વારંવાર સર્જાતા હોય છે. એટલું જ નહીં, સર્વિસ રોડની બાજુમાં વેસ્ટ વીયરની લાઈનનું કામ પણ અધૂરું અને જે કામ પૂર્ણ થયું ન હોવાના કારણે અકસ્માતો થવાની પણ સ્થાનિકોને દહેશત સતાવી રહી છે. જોકે, સત્વરે યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.