-
ડમ્પર અને ખાનગી બસ વચ્ચે સર્જાયો અકસ્માત
-
બસ સુરત થી ઉના પરત ફરી રહી હતી
-
ગોઝારા માર્ગ અકસ્માતમાં છ મુસાફરોના મોત
-
બસના પતરા કાપીને મૃતદેહ બહાર કઢાયા
-
ઈજાગ્રસ્ત 22 મુસાફરો સારવાર હેઠળ
ભાવનગર-સોમનાથ હાઇવે પર ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ડમ્પરની પાછળ ખાનગી ટ્રાવેલ્સ બસ ઘૂસી જતાં 6 વ્યક્તિઓના મોત નીપજ્યા છે.આ અકસ્માતમાં 22 લોકોને ઇજા પહોંચી છે.
ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક વહેલી સવારે 6:00 કલાકના સુમારે હાઇવે પર રેતી ભરેલા ડમ્પરની પાછળ ધડાકાભેર બસ ઘૂસી ગઇ હતી. આ ટ્રાવેલ્સ સુરતથી ઉના પરત ફરી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે મુસાફરોની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.
ગમખ્વાર અકસ્માતના પગલે બસમાં સવાર છ લોકોના મોત નીપજ્યા છે. અને બસનું પતરુ કાપીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.જ્યારે 22 થી વધુ લોકોને ઇજા થતાં સારવાર અર્થે તળાજા અને ભાવનગરની સર ટી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જોકે ઇજાગ્રસ્તો પૈકી અમુકની હાલત પણ હજુ ગંભીર મનાઈ રહ્યું છે.
જેના કારણે હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા જણાઈ રહી છે. બીજી તરફ અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, નેશનલ હાઇવે ઓથોરિટીનો સ્ટાફ તથા 108 એમ્બ્યુલન્સ સહિતનો મસમોટો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.