દિવાળીના વિચારમાત્રથી તાજગીસભર પ્રસન્ન થતું મન, માનવીમાં રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયનો પર્વ
દિવાળીના વિચારમાત્રથી મન તાજગીસભર અને પ્રસન્ન થઈ જાય છે. દિવાળીના પર્વને પ્રકાશનો ઉત્સવ પણ કહેવામા આવે છે. આપણા પરિવાર, સગા સંબંધીઓ, મિત્રો સહિત લોકો સાથે રહેવાનો અને સંબંધોમાં તેજ વધારવાનો આ ઉત્સવ છે, ત્યારે આવો જાણીએ દિવાળી પર્વનો મહિમા કનેક્ટ ગુજરાતના વિશેષ અહેવાલમાં...
દિવાળીના દિવસે દીવાનું પૂજન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ દિવસે લક્ષ્મી પૂજા કરતાં પહેલાં કળશ, ભગવાન ગણેશ, વિષ્ણુ, ઇન્દ્ર, કુબેર અને દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. સ્કંદ અને પદ્મ પુરાણ અનુસાર, દિવાળીના દિવસે દીવાનું દાન કરવું જોઈએ. બ્રહ્મ પુરાણ કહે છે કે, કારતક અમાવસ્યાની મધ્યરાત્રિએ લક્ષ્મી સારા લોકોના ઘરે આવે છે, તેથી ઘરની સાફ-સફાઈ અને સજાવટ પછી દિવાળી ઊજવવાની પરંપરા છે.
શ્રીમદ્ ભાગવત અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણ અનુસાર, કારતક મહિનાની અમાવાસ્યાના દિવસે સમુદ્રમંથનથી લક્ષ્મી પ્રગટ થયાં હતાં. આ પછી લક્ષ્મીપૂજાની પરંપરા શરૂ થઈ હતી. બ્રહ્મ પુરાણની કથા અનુસાર, મહારાજ પૃથુએ પૃથ્વીનું પોષણ કરીને એને સંપત્તિ અને અનાજથી સમૃદ્ધ બનાવ્યું હતું, તેથી દિવાળી ઉજવવામાં આવે છે. માર્કંડેય પુરાણ કહે છે, જ્યારે પૃથ્વી પર માત્ર અંધકાર હતો ત્યારે દેવી કમળ પર તેજસ્વી પ્રકાશ સાથે બેઠેલાં દેખાયાં હતાં, તેઓ લક્ષ્મીજી હતાં. તેમના પ્રકાશથી વિશ્વનું સર્જન થયું છે, તેથી આ દિવસે લક્ષ્મીપૂજાની પરંપરા છે. એ જ સમયે શ્રીરામના અયોધ્યા પરત ફરવાના સ્વાગત માટે દિવાળી ઉજવવાની પરંપરા છે.
આજે દિવાળી એટલે લોકોમાં આ ઉત્સવના આનંદ નિમિત્તે દીવાઓ પ્રગટાવવામાં અને ફટાકડાની ગુંજમાં જોવા મળશે, પરંતુ એ પહેલાં દરેક ઘરમાં દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવશે. પ્રથમ દંતકથા મુજબ સમુદ્રમંથન દરમિયાન આ દિવસે લક્ષ્મી દૂધના સમુદ્ર ક્ષીર સાગરમાંથી બહાર આવ્યા હતા. બીજી દંતકથા પશ્ચિમ ભારતમાં વધારે પ્રચલિત છે, જેમાં રાક્ષસને મારવા માટે ભગવાન વિષ્ણુએ લીધેલા વામન અવતાર સાથે સંકળાયેલી છે. ત્યારબાદ આ દિવસે વિષ્ણુ પોતાના ઘર વૈકુંઠ પરત ફર્યા હતા.
આથી આ દિવસે લક્ષ્મીની પૂજા કરતા લોકો લક્ષ્મીના હિતકારી મનોભાવનો લાભ મેળવે છે, અને માનસિક, શારીરિક તથા ભૌતિક સમૃદ્ધિના આશીર્વાદ મેળવે છે. આધ્યાત્મિક સંદર્ભો મુજબ આ દિવસે બ્રહ્માંડમાં "લક્ષ્મી-પંચાયતન" પ્રવેશે છે. ઉત્તર ભારતમાં લક્ષ્મી પૂજા એ દિવાળીનો સૌથી વધુ મહત્વનો દિવસ છે. હિન્દુ ઘરો સંપત્તિના દેવી લક્ષ્મી અને શુભ શરૂઆતના દેવતા ગણેશની પૂજા કરે છે અને પછી તમામ ગલીઓ તથા ઘરોમાં દીવા સળગાવી સમૃદ્ધિ તથા શુભ શરૂઆતને આવકારે છે. આનંદના આ દિવસે ઘણાં લોકો વિવિધ નાસ્તો અને ભોજનનો સ્વાદ માણે છે, અને મિત્રો તથા પરિવારજનોને મળે છે. સાંજે દીવા પ્રગટાવવામાં આવે છે, અને દેવી લક્ષ્મીની પૂજા થાય છે, તથા તેમને વિશેષ ભોગ ધરાવાય છે.
દિવાળીના તહેવારોમાં માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મુકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. દિવાળીના તહેવારોમાં અવનવી લાઇટીંગનો ઝગમગાહટ જેમ શહેરની સુંદરતામાં વધારો કરે છે, તેમ ફાટકડાનો આવાજ પણ વાતાવરણમાંથી જીવાતને દૂર કરતો હોવાનું કહેવાય છે. આપણા જીવનમાં દરેક તહેવાર કંઇક નવું શીખવે છે, અને સંબંધોમાં નવી તાજગીરૂપી પ્રેમનું નિર્માણ કરે છે. ભલે આજના યુગને ડિજિટલ યુગ તરીકે ઓળખાતા હોઈશું, પરંતુ તહેવારની શુભેચ્છની સાચી મજા તો રૂબરૂ મળીને એકબીજા પ્રત્યે હેત વરસાવી અને મીઠાઈ ખવડાવીને જ આવે છે.
ભલે આખા વર્ષ દરમિયાન કોઈને મળી ન શકાય કે, કામની વ્યસ્તતાના કારણે મળવાનું શક્ય ન બને, પરંતુ દિવાળી પર્વમાં અચૂક એક નાનકડી મુલાકત પણ કરવી જોઈએ. આ એ હૂંફ છે જે બે વ્યક્તિઓ વચ્ચેની લાગણીનો પ્રત્યક્ષ અનુભવ કરાવી મનમાં રહેલા વેરભાવને પણ ભુલાવી દે છે. દિવાળીનું પર્વ છે ઉમંગ, ઉત્સાહ નવી તાજગી સાથે નવા સમયની શરૂઆત કરવાનો બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધોને નવી ઉર્જા આપીને ચેતનવંતો બનાવવાનો. પ્રકાશમય દિવાળીનો ઉજાસ, મીઠાઈરૂપી મીઠાસ અને રંગોળીના કલરનો રંગ આપણા જીવનને ઉત્સવમય બનાવે તેવી શુભેચ્છા સાથે આપ સૌ દર્શક મિત્રોને દિવાળી પર્વની હૃદયપૂર્વક શુભેચ્છા...