પ્રાંતિજના વાધપુર નજીક નદીમાં એક વ્યક્તિ ફસાયો
બનાવના પગલે પોલીસ સહિત ફાયર ફાઇટરો દોડ્યા
પ્રવાહ વચ્ચે રેસક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
બોટની મદદથી સહી સલામત વ્યક્તિને બહાર કઢાયો
ઇજાગ્રસ્તને સારવાર અર્થે પ્રાંતિજ સિવિલ ખસેડાયો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાધપુર નજીક સાબરમતી નદીમાં એક વ્યક્તિ ફસાઈ જતાં ફાયર ટીમ દ્વારા 4 કલાકની જહેમત બાદ રેસક્યું કરી સહીસલામત બહાર કાઢવામાં આવ્યો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર, સમગ્ર રાજ્યમાં વરસાદ વારી રહ્યો છે. જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાધપુર નજીક સુર્યકુડ પાસે બની રહેલ મકાનમાં કામ કરતો શ્રમિક કાળુ ખેર નજીક આવેલ સાબરમતી નદીમાં માછલા પકડવા ગયો હતો. જોકે, નદીમાં અચાનક પાણી છોડવામાં આવતા ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો.
એકાએક પાણી વધતા કાળુ ખેર એક ટેકરી ઉપર ચડી ગયો હતો, જ્યાં બાવળના ઝાડને પકડીને બેસી ગયો હતો, અને બુમાબુમ કરતા નદીકાંઠેથી પસાર થતાં એક વ્યક્તિ અવાજ સાંભળી જતા પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસ સહિત ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં રેસક્યું ઓપરેશન હાથ ધરી લગભગ 4 કલાકની ભારે જહેમત બાદ કાળુ ખેરને બહાર કાઢવામાં આવ્યો હતો.