SOU ખાતે સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે મોકડ્રિલ યોજાઈ
ચેતક કમાન્ડો દ્વારા દિલધડક ઓપરેશન કરાયું
પ્રવાસીઓને આતંકીઓએ લીધા હતા બાનમાં
કમાન્ડોએ સફળતા પૂર્વક પાર પાડ્યું ઓપરેશન
એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાઇ મોકડ્રિલ
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એક મોકડ્રિલ યોજાઈ હતી.
પ્રવાસન ક્ષેત્રે વિશ્વના નકશામાં અંકિત થયેલા નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે. જેને ધ્યાને લઈ પ્રવાસીની સલામતી તથા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણીના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષકના પ્રેરક માર્ગદર્શન અને રાહબરી હેઠળ તારીખ 21મી ઓક્ટોબર સોમવારના રોજ બપોરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર અને સરદાર સરોવર નર્મદા બંધ ખાતે સફળ મોકડ્રીલ યોજાઈ હતી.ચેતક કમાન્ડો દ્વારા દિલધડક ઓપરેશન કરવામાં આવ્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફૂડકોર્ટ અને સરદાર સરોવર નર્મદા બંધ ખાતે આતંકી હૂમલો થતાં પ્રવાસીઓને આતંકીઓએ બાનમાં લીધા હતા અને ડેમની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા એસઆરપીએફના જવાનો પર હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા. ચાર જેટલા સશસ્ત્ર આતંકીઓએ આ સ્થળોએ ઘુસીને પ્રવાસીઓને બાનમાં લેવા અંગેના સમાચાર ઈમર્જન્સી રિસ્પોન્ડ ટીમ અને જિલ્લા વહીવટી તંત્રને મળતા જ તંત્રએ સતર્ક થઈને વિવિધ ફોર્સને ઓપરેશનના ભાગેરૂપે એક્ટિવ કરી આતંકી હુમલાના સ્થળે પોલીસ ખડકી દઈ કોર્ડન કર્યુ હતું. આતંકી હુમલાની જાણ થતાં જ સૌ પ્રથમ તે તરફ જતા રસ્તાઓ પર સલામતી-સુરક્ષા માટે વાહન વ્યવહાર બંધ કરી સ્થાનિક પોલીસ દ્વારા સ્થિતિ નિયંત્રણમાં કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસ અને એસઓજીની ટીમોએ આતંકી હુમલા વાળી જગ્યાઓને કોર્ડન કરી ઘેરો બનાવી આતંકવાદીઓ સામે પડકાર ફેંક્યો હતો.
આતંકી હુમલાની ઘટનાને ધ્યાને લઈ તેની ગંભીરતા જાણી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્ટેટ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ અને ઈમર્જન્સી રિસ્પોન્ડ ટીમની મદદ લઈ હુમલાની ઘટનામાં ઓપરેશન માટે ગાંધીનગરથી ચેતક કમાન્ડોની ટીમની જરૂરિયાત જણાતા તેની માંગણી કરી હતી. ચેતક કમાન્ડોની ટીમ એકતાનગર ખાતે તાત્કાલિક આવી પહોંચતા ડિઝાસ્ટર રિસ્પોન્ડીંગ ઓફિસર દ્વારા હુમલાની ઘટના અંગે નકશાના માધ્યમથી સ્થળ સ્થિતિથી કોમ્યુનિકેશન દ્વારા વાકેફ કરતા ચેતક કમાન્ડોની ટીમો દ્વારા તાબડતોડ કુનેહ પૂર્વક તમામ સ્થળોએ ઓપરેશન પાર પાડી આતંકીઓને ઠાર કરી બિલ્ડીંગ અને અન્ય પ્રવાસન સ્થળોએ ફસાયેલા બંધક લોકોને આતંકીઓના કબજામાંથી મુક્ત કરાવ્યા હતા.
બુલેટપ્રુફ સુરક્ષા બોર્ડ, MP-5 ગ્લોક પિસ્ટલ, એસ.આઈ.જી., એ.કે.-૪૭ જેવા હથિયારોથી સજ્જ કમાન્ડો બ્લેક ડ્રેસકોડમાં કોર્ડનીંગ અને સર્ચ ઓપરેશન કર્યું હતું. આ સમગ્ર ઓપરેશન દરમિયાન વિવિધ સ્થળોએ નર્મદા જિલ્લા લોકલ પોલીસ, સીઆઈએસએફ, એસઆરપીએફ, એસઓજીની ટીમ, ડોગ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગની એમ્બ્યુલન્સ ટીમ દ્વારા સારવાર અંગે જરૂરી પ્રક્રિયા હાથ ધરી હતી. તેમની જરૂરિયાત મુજબની ફરજો અદા કરી સમગ્ર મોકડ્રીલમાં સફળતા પૂર્વક સહયોગ પૂરો પાડ્યો હતો.
આ દુર્ઘટનાના મોકડ્રીલના સફળ ઓપરેશન બાદ નાયબ પોલીસ અધિક્ષક સંજય શર્માના અધ્યક્ષપદે ડી-બ્રિફિંગ બેઠક યોજાઈ હતી. જેમાં CISFના અભિષેક પ્રધાન, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રિયાઝ સરવૈયા, મયુરસિંહ રાજપૂત, ચેતક કમાન્ડોના ઓફિસર તરફથી આ બેઠકમાં ઓપરેશન દરમિયાન સલામતી અંગે ધ્યાને આવેલા મુદ્દાઓ અને રજૂ થયેલા તારણો અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરાઈ હતી.