સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકના માલણપુર ગામમાં લોકો કરતાં વૃક્ષોની સંખ્યા વધુ છે. અહી 1200થી વધુ વસ્તી સામે 7 હજારથી વધુ વૃક્ષોનો ઉછેર કરી ગ્રામજનોએ પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે.
સમગ્ર વિશ્વમાં તા. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધારવાનો છે. પર્યાવરણના જતન માટે સરકાર તરફથી અનેકવિધ પહેલ કરવામાં આવી છે. જેના કારણે આજે રાજ્યમાં વૃક્ષ આવરણમાં વધારો જોવા મળે છે. વિષમ પરિસ્થિતિ ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાનો પાટડી તાલુકો શુષ્ક અને સૂકો ભઠ્ઠ પ્રદેશ ગણવામાં આવે છે. આ વિસ્તારમાં જ્યાં પણ નજર કરીએ ત્યાં માત્ર બાવળ જ જોવા મળે છે. આ પ્રદેશમાં લીલોતરી અથવા હરિયાળા ગામની કલ્પના કરવી એ દીવાસ્વપ્ન સમાન છે. પરંતુ સરકાર અને ગામ લોકોના સહયોગથી આ અશક્ય કાર્ય પણ રણ પ્રદેશમાં શક્ય બન્યું છે, અને માલણપુર ગામમાં ઘટાદાર 7 હજારથી વધુ વૃક્ષો લહેરાઈ રહ્યા છે. માલણપુરના લોકોએ વૃક્ષો વાવીને સૂકા રણને જાણે એક લીલી ચાદર ઓઢાડી છે. સૂકા વિસ્તારને લીલોછમ્મ બનાવવાના આ ભગીરથ કાર્યમાં સમસ્ત ગ્રામજનો અગત્યનો ફાળો છે. જેના કારણે માલણપુર ગામના લોકો આજે ગરમીમાં પણ ગામના પાદરે વૃક્ષ નીચે બેસીને ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે.
માલણપુર ગામમાં બિનપિયત યોજનાનો લાભ લઇ ગામમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ લોકો અને ગામનાં યુવાનોના સાથ સહકારથી ઉનાળામાં પણ વૃક્ષોને પાણી આપી તેનું જતન કર્યું છે. જેના પરિણામે આજે ગામમાં 7 હજારથી પણ વધુ વૃક્ષો લહેરાઈ રહ્યા છે. ગામની વસ્તી અંદાજે 1200થી 1300ની આસપાસ છે, જ્યારે ગામમાં વૃક્ષોની સંખ્યા 7 હજારથી વધારે છે. ગામના એક વ્યક્તિએ 5થી વધુ વૃક્ષોનો ઉછેર કર્યો છે. વૃક્ષોના કારણે ગામમાં પક્ષીઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. ગામનું આખું વાતાવરણ પહેલા કરતાં બદલાઈ ગયું છે. સરકારની રોડ સાઇડ વાવેતર યોજનાનો લાભ લઈને રોડ પરથી ગામમાં પ્રવેશતા અંદાજે દોઢ કિલોમીટરથી પણ વધારે વિસ્તારોમાં પાંજરા ગોઠવી વૃક્ષોનું વાવેતર કર્યું છે. આ વૃક્ષોને અમે ઉનાળાના સમયમાં પણ પાણીના ટેન્કર મારફતે પાણી આપીને તેનું જતન કરવામાં આવ્યું છે. આજે એ બધાં જ વૃક્ષો મોટા ઘટાદાર થઈ ગયા છે. ગામમાં પ્રવેશતા જ રસ્તાની બન્ને તરફ વૃક્ષોની હારમાળા તમારૂ સ્વાગત કરવા ઉભી હોય ત્યારે તેવો અનુભવ થાય છે કે, આપણે નાના રણમાં નહીં પણ કોઈ હરિયાળા પ્રદેશમાં છીએ.
માલણપુર ગામ રણકાંઠાની નજીક આવેલું ગામ છે. બીજા વિસ્તારોમાં જ્યારે તાપમાન 44 ડિગ્રી તાપમાન હોય છે, ત્યારે પાટડી તાલુકાના માલણપુર ગામમાં વૃક્ષોના લીધે તાપમાનમાં પણ ઘટાડો અનુભવાય છે. જેના પરિણામે આજે લોકો ગરમીથી પણ રાહત મેળવી રહ્યા છે. ગામના દરેક ઘરે 2થી 3 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ગામ લોકોએ સંકલ્પ કર્યો છે કે, દર વર્ષે ગામમાં નવા એક હજાર વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવો. સમગ્ર ગામ વૃક્ષ પ્રેમી છે, અને વૃક્ષોનું જતન પણ કરે છે. વધુ વૃક્ષોનું વાવેતરા વિશ્વને ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાંથી મુક્તિ અપાવી શકે તેમ છે, ત્યારે માલણપુર ગામમાં 7 હજારથી પણ વધારે વૃક્ષો આવેલા છે, અને ગામ લોકો દ્વારા તેનું જતન પણ સારી રીતે કરવામાં આવી રહ્યું છે. દરેક લોકો વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરે તેવો સંદેશો આપી માલણપુર ગામ હરિયાળું ગામ તરીકે ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે.