Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : રાજ્યના નાયબ મુખ્યમંત્રીના હસ્તે થલતેજ એલીવેટેડ બ્રીજનું લોકાર્પણ

સરખેજ-ગાંધીનગર હાઇવે પર વધી રહેલો વાહન વ્યવહાર, થલતેજ અંડરપાસ-સોલા ઓવરબ્રિજ-રેલ્વે પુલનું લોકાર્પણ.

X

અમદાવાદ શહેરના નાગરિકોની સુખાકારી માટે સતત વિકાસની પ્રક્રિયા વેગવંતી ધોરણે કાર્યરત છે. અમદાવાદ અને ગાંધીનગરને જોડતી કડીરૂપ સરખેજ-ગાંધીનગર હાઇવે પર સતત વધી રહેલા વાહન વ્યવહારના કારણે અનેક બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે વધુ એક ફ્લાયઓવરનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના હસ્તે પ્રજાર્પણ કરવામાં આવ્યું હતું.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે, થલતેજ અંડરપાસથી ગોતા સુધીનો 4200 મીટરનો કુલ 4.18 કિ.મી એલીવેટેડ બ્રીજનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે પૈકી થલતેજ અંડરપાસથી શરૂ કરીને સોલા ઓવરબ્રિજ-રેલ્વે પુલ સુધીના 1500 મીટરના 6 માર્ગીય ફ્લાયઓવરનું કામ પૂર્ણ થતાં વાહનચાલકોને વહેલા સુવિધા મળી રહે તે હેતુથી આ ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

થલતેજ અંડરપાસથી પસાર થયા બાદ ઝાયડસ સર્કલ સુધી ખૂબ ટ્રાફિક રહેવા પામતો હતો. જેથી નાગરિકોની સુખાકારી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત નિર્ણય લઈ થલતેજથી ગોતા સુધી છ માર્ગીય એલીવેટેડ કોરીડોર બનાવવાનું કાર્ય પૂર્ણતાના આરે છે, ત્યારે તેમાં 1.48 કિમીના એક માર્ગીય રોડનું કાર્ય પૂર્ણ થતાં નાગરિકોને વાહન વ્યવહાર માટે આ માર્ગ ખુલ્લો મુકવામાં આવ્યો છે. થલતેજથી ગોતા સુધીના સમગ્ર બ્રીજનો કુલ ખર્ચ 325 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. જેમાંથી ખુલ્લો મુકવામાં આવેલ બ્રીજનો ખર્ચ ૫૧ કરોડ રૂપિયા થયો છે.

ગાંધીનગર હાઇવે પર છ માર્ગીય રસ્તો ખુલતા નાગરિકોને અવરજવર કરવા તેમજ ખૂબ જ ટૂંકા ગાળામાં પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં સમય અને નાણાંની પણ બચત થશે તેવું રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું. આ પ્રસંગે ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને સ્થાનિક નાગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story