/connect-gujarat/media/post_banners/0ea49eac8f8f51e6f7f0e93e4b4fbc8dc66ded082a3d20230932ad09436a0270.jpg)
વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલની વિરુદ્ધમાં ભાજપના જ કાર્યકર દ્વારા વારંવાર ફરતી કરવામાં આવતી પત્રિકાને લઈને રાજકારણ ગરમાયું હતું. તો હવે એવા સમયે સોશિયલ મીડિયામાં એક નક્શો ફરી રહ્યો છે. આ ગૂગલ મેપ સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, કપરાડા તાલુકામાંથી એક મોટી નહેર પસાર થવાની છે. આ નહેરમાં આ વિસ્તારના અસંખ્ય આદીવાસીઓની જમીન પણ જશે, અને લોકો ઘર અને જમીન વિહોણા થશે. ન માત્ર લોકો જ પરંતુ આ નહેરના કારણે ધારાસભ્ય જીતુ ચૌધરીનું ઘર પણ જઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આમ સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેપ અને અફવાના કારણે આ મુદ્દો લોકોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો છે. આથી સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેપ અને તેને લઈ કરવામાં આવેલા દાવા મુદ્દે કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ સાઇબર ક્રાઇમમાં રજૂઆત કરી તપાસની માંગ કરી છે. વધુમાં જીતુ ચૌધરીએ આવી અફવાઓ કોંગ્રેસ દ્વારા જ ફેલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે, ભાજપ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપ મામલે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે આક્ષેપોને ફગાવ્યા છે.