-
લાઠી તાલુકાના જરખિયા ગામમાં બની હત્યાની ઘટના
-
સામાન્ય શબ્દથી થયેલી ઘટનાએ જાતિવાદી હિંસા ફેલાવી
-
બેટા શબ્દ બોલનાર યુવાન પર 15 લોકોનો જીવલેણ હુમલો
-
મારામારીની ઘટના હત્યામાં પરિણમતા પોલીસ તપાશ શરૂ
-
યુવકનું મોત નિપજતા MLA જીજ્ઞેશ મેવાણી દોડી આવ્યા
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખિયા ગામમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલી હત્યાની ઘટનામાં પરિણમી હતી, ત્યારે હાલ તો આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલા જીગાભાઇ દુધાત માર્કેટિંગ યાર્ડમાં એક સામાન્ય શબ્દ પ્રયોગથી શરૂ થયેલી ઘટના જાતિવાદી હિંસામાં પરિણમી છે. ગત તા. 15 મે-2025ના રોજ 20 વર્ષીય નિલેશ રાઠોડએ દ્વારકાધીશ દુકાનમાં દુકાનદારના યુવકને 'બેટા' શબ્દથી સંબોધન કર્યું હતું. આ શબ્દ પ્રયોગથી યુવકના પિતા ચોથા ભરવાડ ઉશ્કેરાયા હતા. તેમણે નિલેશ રાઠોડની જાતિ વિશે પૂછપરછ કરી અપમાનજનક ટિપ્પણી કરી હતી. જોકે, પરિસ્થિતિ વણસતા ચોથા ભરવાડએ ફોન કરીને વધુ માણસોને બોલાવ્યા હતા. આશરે 15 જેટલા લોકોએ યુવકને લાકડી અને કુહાડી વડે માર માર્યો હતો.
યુવકને માથાના પાછળના ભાગે કુહાડીનો ઘા મારવામાં આવ્યો હતો. બચાવ માટે આવેલા અન્ય લોકો પર પણ હુમલો કર્યો હતો. નિલેશ રાઠોડ ઇજાગ્રસ્ત થતા પ્રથમ અમરેલી હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગત રાત્રીએ તેને દમ તોડ્યો હતો અને મારામારીની ઘટના હત્યામાં પરિણમી હતી. આરોપીઓમાં ચોથા ભરવાડ, વિજય ટોટા, ભાવેશ મુંધવા અને જતીન મુંધવા સહિત 15 લોકોનો સમાવેશ થાય છે.
પીડિતે જાતિ આધારિત અપમાન અને હુમલા અંગે ફરિયાદ નોંધાતા અમરેલી રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ, બનાવના પગલે વડગામમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી મૃતકના સ્વજનોને સાંત્વના આપવા અમરેલી પહોચ્યા હતા. પીડિત પરિવારની મુલાકાત લઈ જીજ્ઞેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. દેશમાં છેલ્લા 2 હજાર વર્ષથી દલિતો પર અત્યાચાર થઈ રહ્યા છે, ત્યારે વધુ એક ઘટનાના પગલે તાત્કાલિક અસરથી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જીજ્ઞેશ મેવાણીએ માંગ કરી હતી.