અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક સિંહણના 2 અલગ અલગ હુમલામાં વન વિભાગના 3 કર્મચારીઓને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, અમરેલીના જાફરાબાદ નજીક આવેલ બાબરકોટ ગામે સિંહણે 2 અલગ અલગ હુમલામાં 3 લોકોને ગંભીર ઇજા પહોચાડી હતી. જેમાં રવિવારની વહેલી સવારે 4 વાગ્યે ફરજ પર હાજર વન વિભાગના કર્મચારી પર સિંહણે હુમલો કર્યો હતો. સિંહણના હુમલામાં વન ખાતાના કર્મચારીને હાથે અને પગે ગંભીર ઇજા પહોચી હતી, ત્યારે ઇજાગ્રસ્ત કર્મચારીને સાથે રહેલા સહકર્મી દ્વારા તાત્કાલિક સારવાર અર્થે રાજુલાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ સવારે 6 વાગ્યે SRDના 2 જવાન ઉપર પણ સિંહણે જીવલેણ હુમલો કર્યો હતો. SRD જવાન નાઈટ ડ્યુટી કરી ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમ્યાન સિંહણે હુમલો કરતાં બન્ને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારે સિંહણ દ્વારા જ હુમલો થયો હોવાની વન વિભાગના કર્મચારીએ પુષ્ટી આપી હતી. જોકે, હાલ તો હુમલાખોર સિંહણને પકડવા વન વિભાગે પાંજરું ગોઠવ્યું છે.