અમરેલી : આંબે ઝૂલતી કેસર કેરીઓ કમોસમી વરસાદના કારણે ખરી પડી, ખેડૂતોની હાલત કફોડી..

પલટાયેલા વાતાવરણના કારણે કેરીના પાકને નુકશાન કમોસમી વરસાદના કારણે કેરીના ઉત્પાદનને પર અસર

New Update
અમરેલી : આંબે ઝૂલતી કેસર કેરીઓ કમોસમી વરસાદના કારણે ખરી પડી, ખેડૂતોની હાલત કફોડી..

સમગ્ર ગુજરાત સહિત અમરેલી જિલ્લામાં બુધવારથી પલટાયેલા વાતાવરણના કારણે કેરી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કમોસમી વરસાદી છાંટા અને ઠંડા ધારદાર ફુકાતા પવનના કારણે કેરીના ઉત્પાદન પર અસર થઈ છે. ધારી ગીર પંથકની કેસર કેરીઓ આંબેથી ખરી પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

અમરેલી જીલ્લામાં કેસર કેરી પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. ગત વર્ષે તૌકતે વાવઝોડાના કારણે આંબાના બગીચાઓ તહેસ નહેસ થઈ ગયા હતા. મોટાભાગનો કેરીનો પાક નિષ્ફળ ગયો હતો, ત્યારે ચાલુ વર્ષે પણ પલટાયેલા વાતાવરણના કારણે કેરી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કમોસમી વરસાદી છાંટા અને ઠંડા ધારદાર ફુકાતા પવનના કારણે કેરીના ઉત્પાદન પર અસર થઈ છે. ધારી તાલુકાના ઝર, મોરઝર અને દલખાણીયા સહિતના ગામોમાં આંબા પર જુલતી કેસર કેરી ખરી પડી છે.

અમરેલી જીલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેસર કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કેરીના ઉત્પાદન સમયે જ કોઈને કોઈ મુશ્કેલી આવી પડતી હોવાથી ખેડૂતો નિરાશ થઈ ગયા છે. 2 દિવસના વરસાદી વાતાવરણથી ઘણી ખરી કેરીઓ આંબેથી ખરી પડી છે. આ વર્ષે અમરેલી જિલ્લામાં કેરીનું ઉત્પાદન સરેરાશ 20થી 25 ટકા જેટલું જ થયું છે. જેના કારણે કેસર કેરીના ભાવો પણ ખૂબ ઉંચા રહે તેવી શક્યતા છે, ત્યારે આવા સમયે પલટાયેલું વાતાવરણ મીઠી કેસર કેરીનો સ્વાદ ખાટો કરે તો નવાઈ નહીં તેવું પણ ખેડૂતોએ જણાવ્યુ હતું.

Read the Next Article

વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક  કર્યો જાહેર

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.

New Update
1749726703_new-project-8

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ જાહેરાત મુજબ, આવતીકાલે, સોમવાર, 16 જૂન 2025 ના રોજ ગુજરાત રાજ્યમાં રાજકીય શોક પાળવામાં આવશે. આ દિવસ દરમિયાન, શોકના પ્રતીક રૂપે, ગુજરાતની તમામ સરકારી કચેરીઓ, જાહેર સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

 

આ નિર્ણય વિજય રૂપાણીના જાહેર જીવનમાં આપેલા યોગદાન અને રાજ્ય માટેની તેમની સેવાઓને સન્માનિત કરવાના ભાગરૂપે લેવામાં આવ્યો છે. તેમના નિધનથી ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

પાર્થિવ દેહની અંતિમ યાત્રા અને દર્શનનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ (16 જૂન, 2025 - સોમવાર):

  • સવારે 11:00 વાગ્યે: ગાંધીનગર નિવાસસ્થાનેથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ જવા રવાના થશે.
  • સવારે 11:30 વાગ્યે: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પાર્થિવ દેહનો સ્વીકાર કરાશે.
  • સવારે 11:30 થી 12:30 વાગ્યે: સિવિલ હોસ્પિટલ, અમદાવાદથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.
  • બપોરે 12:30 વાગ્યે: અમદાવાદ એરપોર્ટથી હવાઈ માર્ગે રાજકોટ જવા ટેકઓફ કરશે.
  • બપોરે 12:30 થી 2:00 વાગ્યે: હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ પહોંચશે.
  • બપોરે 2:00 થી 2:30 વાગ્યે: રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ સુધી પહોંચશે.
  • બપોરે 2:30 થી 4:00 વાગ્યે: ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને (પૂજિત, 2/5 પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ) જવા માટે ભવ્ય અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ બાપુ આશ્રમ રોડ, બાલક હનુમાન ચોક, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ પાસેથી, પૂજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ ઝોન ઓફિસ, પારેવડી ચોક, કેસરીહિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડ અને નિર્મલા કોન્વેન્ટ રોડ થઈને તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી પહોંચશે.
  • સાંજે 4:00 થી 5:00 વાગ્યે: તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, જ્યાં શોકમગ્ન જનતા અને મહાનુભાવો શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકશે.
  • સાંજે 5:00 થી 6:00 વાગ્યે: નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક (કાલાવડ રોડ), મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામિનારાયણ મંદિર (ભુપેન્દ્ર રોડ) થઈને રામનાથપરા સ્મશાન પહોંચશે.
  • સાંજે 6:00 વાગ્યે: રામનાથપરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પ્રાર્થના સભાઓનું આયોજન:

પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે ત્રણ અલગ-અલગ સ્થળોએ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે:

રાજકોટમાં પ્રાર્થના સભા

    • તારીખ: 17 જૂન, 2025, મંગળવાર
    • સમય: સાંજે 3:00 થી 6:00 વાગ્યે
    • સ્થળ: રેસકોર્સ મેદાન, રાજકોટ

ગાંધીનગરમાં પ્રથમ પ્રાર્થના સભા

      • તારીખ: 19 જૂન, 2025, ગુરુવાર
      • સમય: સવારે 9:00 થી 12:00 વાગ્યે
      • સ્થળ: હોલ નં. 1, એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ, સેક્ટર-17, ગાંધીનગર

ભાજપ, ગુજરાત પ્રદેશ દ્વારા પ્રાર્થના સભા

    • તારીખ: 20 જૂન, 2025, શુક્રવાર
    • સમય: સાંજે 4:00 થી 6:00 વાગ્યે
    • સ્થળ: કમલમ, કોબા, ગાંધીનગર