Connect Gujarat
ગુજરાત

આણંદ : ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત, જ્યારે ટ્રેક્ટર પલટી મારી જતાં વધુ 3 લોકોના મોત...

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ગત મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 3 લોકોનું ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા.

X

આણંદ નજીક વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ગત મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 3 લોકોનું ઘટના સ્થળે મોત, જ્યારે તારાપુરના જીચકા ગામ નજીક ટ્રેક્ટર પલટી મારી જતાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા.

આણંદ નજીક વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પણ મોડી રાત્રીના સમયે ગોઝારો અકસ્માત થયો હતો. બેદરકાર ટ્રક ચાલકે એક્સપ્રેસ હાઈવેની મુખ્ય લાઈન ઉપર કોઈપણ જાતના ભયજનક સિગ્નલ આપ્યા વગર ટ્રક ઉભી કરી દીધી હતી. જેમાં વડોદરાથી પરત આવી રહેલા ડાકોરના યુવકોની કાર ધડાકાભેર ભટકાતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો, ત્યારે કારમાં સવાર રાહુલ માળીનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે સુનીલ પરમાર અને ચિરાગ સોલંકીને આણંદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના હાજર તબીબે બન્નેને મૃત જાહેર કર્યા હતા. બનાવના પગલે ખંભોળજ પોલીસે અકસ્માતે 3 લોકોના મોતનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ, આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના જીચકા ગામે ઉનાળું ડાંગરની રોપણી કરવા જતાં સમયે શ્રમિકોને અકસ્માત નડ્યો હતો. જીચકા ગામે તળાવ નજીકના વણાંક પર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં ટ્રેક્ટર પલટી મારી જઈ કાંસમાં ખાબક્યું હતું, ત્યારે ટ્રેક્ટરમાં સવાર 14 શ્રમિકો પૈકી 3 શ્રમિકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં મરણ જનાર ત્રણેય શ્રમિકો પંચમહાલથી મજૂરી કામ અર્થે જીચકા ગામે આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ઘટના બાદ પોલીસે મૃતકોને પીએમ અર્થે તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story