Connect Gujarat
ગુજરાત

આણંદ: વાહન ચેકિંગ કરી રહેલા પોલીસજવાન પર ટ્રક ચાલકે ટ્રક ચઢાવી દેતા મોત,પોલીસ બેડામાં આક્રોશ સાથે ગમગીની

હરિયાણા પછી ઝારખંડ અને હવે ગુજરાતમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસકર્મીની હત્યાની ઘટના સામે આવી છે.

X

હરિયાણા પછી ઝારખંડ અને હવે ગુજરાતમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસકર્મીની હત્યાની ઘટના સામે આવી છે. આણંદ જિલ્લાના બોરસદ ટાઉનમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસકર્મી પર ટ્રક ચાલકે ટ્રક ચડાવી દીધી હતી. આ બનાવમાં પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસબેડામાં ગમગીની વ્યાપી છે.

બોરસદ ટાઉનમાં ફરજ બજાવતા કિરણસિંહ રાજ નાઈટ ડ્યૂટી દરમિયાન વાહન ચેકિંગ કરતા હતા. એ દરમિયાન ટ્રકચાલકને ઊભી રાખવા ઈશારો કરતાં તેણે ટ્રક દોડાવી દીધી. કિરણસિંહે તેનો પીછો કરી ટ્રકની આગળ ઓવરટેક કરી ગાડી ઊભી કરી દીધી અને તે રોકવા કહેતાં ટ્રકચાલકે ટ્રક કિરણસિંહ ઉપર ચઢાવી દીધી હતી. એમાં પગને ભારે ઇજાઓ પહોંચતાં તેમને કરમસદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રાત્રિથી જ પોલીસકાફલો હોસ્પિટલમાં પહોંચ્યો હતો. આ અંગે આણંદ ડીએસપી અજિત રાજીયણે જણાવ્યું હતું કે પોલીસકર્મી ઉપર ફરજ દરમિયાન થયેલી આ ઘટના ઇરાદાપૂર્વક કરેલો ગુનો છે. રાજસ્થાન પાસિંગની ટ્રક હાલ પોલીસ જાપતામાં છે. ગુનેગારને પકડવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે ઇપીકો કલમ 304 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મહત્ત્વનું છે કે કિરણસિંહ 2006થી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. તેઓ પરિણીત હતા. તેમને પરિવારમાં બે સંતાન છે, જ્યારે ચાર વર્ષ અગાઉ જ તેમનાં પત્નીનો સ્વર્ગવાસ થયો હોઈ, બે સંતાનની જવાબદારી તેમના પર જ હતી. હાલ કિરણસિંહના મૃત્યુ બાદ બે સંતાને માતા બાદ પિતાની પણ છત્રછાયા ગુમાવી છે. હાલ મૃતકનો પરિવાર અને સમગ્ર પોલીસ પરિવાર ભારે શોકમય બની ગયો છે.

Next Story