/connect-gujarat/media/post_banners/ca1f79a94395f5c00e24325fb83b5a88b02a85fc67f17c7cffc39d5ce1eb16bc.jpg)
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના માલપુર રોડ પર 25 દિવસ પહેલા નિર્માણધીન બહુમાળી બિલ્ડીંગના ત્રીજા માળની પેરાફિટ તૂટી પડતા કડીયા કામ કરી રહેલા 3 શ્રમિકો નીચે પટકાતાં એક શ્રમિકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જયારે ઈજાગ્રસ્ત બનેલા 2 શ્રમિક પૈકી એક યુવક હાલ 25 દિવસથી મોડાસાની હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. શ્રમિકનો પરિવાર આર્થિક રીતે તૂટી ગયો હોવાનું જણાવી રહ્યો છે. મોડાસા ટાઉન પોલીસ મથકે આ બનાવ અંગે બેદરકારી બદલ એન્જીનીયર અને કોન્ટ્રાકટર સામે સાપરાધ, મનુષ્યવધ સહિતની કલમો મુજબ ગુનો નોંધાયો હોવા છતાં ટાઉન પોલિસ ભેદી રીતે આરોપીઓને પકડવામાં નાકામિયાબ રહેતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. ભોગ બનનાર પરિવારોમાં અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર અને મોડાસા ટાઉન પોલિસ સામે ભારે રોષ પ્રવર્તિ રહ્યો છે. ટાઉન પોલીસે થોડાક દિવસ પૂર્વે છેતરપીંડીના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં મુંબઈથી ઝડપી લઈ વાહવાહી તો મેળવી હતી. પરંતુ સાપરાધ મનુષ્યવધના મોટા માથાના આરોપીઓને પકડવામાં પોલીસ કેમ પાછીપાની કરે છે, જેવા અનેક સવાલો ઉભા થયા છે. હાલ તો ભોગ બનનાર પરિવાર ન્યાય મળે તેની રાહ જોઈ બેઠો છે.