અરવલ્લી જિલ્લામાં માસ્ટર માઈન્ડ જવાબદારે એપ્રોચ રોડ મંજુર થયો એ જગ્યા નહીં પણ બીજે બનાવી દીધો હોવાના આક્ષેપ સાથે વિવાદ સર્જાતા મામલો ઉચ્ચકક્ષાએ રજૂઆત કર્યા પછી પણ નિવેડો નહીં આવતા પરંપરાગત ઢોલ નગારા સાથે ગ્રામજનોએ કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતુ
સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પાકા રસ્તા માટે કરોડો ફળવાતા હોય છે પણ એ રૂપિયા તંત્રના અધિકારીઓ બેદરકારીથી સ્થળ માટે ફળવાયેલા નાણાં અન્ય સ્થળે વાપરીને ઘોર બેદરકારીના દર્શન કરાવતા હોય છે. આવી એક ઘટના મેઘરજના નવા પાણીબાર ગામે સામે આવી છે. મેઘરજ તાલુકાના અંતરિયાળ એવા પાણીબાર ગ્રામપંચાયત વિસ્તારના નવા પાણીબારના ગ્રામજનોને આઝાદી પછી ક્યારે પણ પાકો રસ્તો મળ્યો નહોતો. દરેક નેતાઓ અધિકારીઓને રજૂઆત કરીને મહામુશ્કેલીએ 1.90 કરોડના ખર્ચે 1.40 કિલોમીટરનો રોડ મંજૂર થયો છે. રસ્તો મંજૂર થતા ગ્રામજનોમાં આનંદ છવાયો હતો. આ નવા પાણીબાર વિસ્તારમાં 70 મકાનો આવેલા છે. ગામના વિદ્યાર્થીઓ, ખેડૂતો, આંગણવાડીના ભૂલકાઓ તમામને આવવા જવા માટે ચોમાસામાં કાદવ કીચડમાં થઈને પસાર થવું પડતું હતું. આવા સંજોગોમાં રસ્તો નવા પાણીબારમાં મંજૂર થતા લોકોને રાહત થઈ હતી. ગ્રામજનો રસ્તો બને એની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સ્થાનિક લોકોને ખબર પડી કે આ મંજૂર થયેલો રસ્તો નવા પાણીબારના બદલે વાંટા પાણીબાર ગામે બનાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં આર.એન્ડ.બી.ના ઈજનેર દ્વારા આ ખોટી જગ્યાએ બનાવેલ રોડ પર નવા પાણીબાર લખેલ ખોટું બોર્ડ પણ લગાવી દીધું છે. આવું કરવા પાછળ અધિકારીઓને શુ સ્વાર્થ હશે એ બાબતની તપાસ થાય એ જરૂરી છે.