/connect-gujarat/media/post_banners/1c6ab6522e5dc61bbc83251297fc5153d4ea7acd7c86622f6839028d12ad5911.jpg)
અરવલ્લી જિલ્લામાં મંગળવારની વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતા જળ બંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. તો બીજી તરફ તંત્ર દ્વારા નદી કાંઠાના ગ્રામ્ય વિસ્તારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. સમગ્ર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9.6 ઈંચ વરસાદ ખાબકતાં તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે. ક્યાંક ભારે, તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પણ નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં છે. તો બીજી તરફ યાત્રાધામ શામળાજીમાં પણ સતત વરસાદ ચાલુ રહ્યો છે, જેમાં મંદિર પરિસર અને શામળાજીના બજારોમાં પાણી ભરાયા છે. જોકે, અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં પણ ઠંડક છવાઈ છે, જ્યારે હજુ પણ મેઘાની મહેર અવિરત હોવાથી જિલ્લાની હાથમતી, બુઢેલી નદી અને લીલછા પાસેની ઇન્દ્રાસી નદીમાં ઘોડાપૂર આવતાં નદી કાંઠાના 20થી વધુ ગામોને સતર્ક રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.