Connect Gujarat
ગુજરાત

ભરૂચ : તંત્ર મંજૂરી આપે તો કાઢવામાં આવશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા

વહીવટી તંત્ર દ્વારા રથયાત્રા કાઢવાની મંજૂરી અપાય તેવી આશ, જગન્નાથ ટેમ્પલ કમિટી દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓ શરૂ.

X

ભરૂચ શહેરના નંદેલાવ રોડ સ્થિત આશ્રય સોસાયટી નજીકથી દર વર્ષે ઉત્કલિકા ઉડીયા સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રા કાઢવામાં આવે છે. જોકે, આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા રથયાત્રા કાઢવા માટે મંજૂરી આપવામાં આવે તો, ગાઈડલાઇનના પાલન સાથે રથયાત્રા ઉત્સવની ઉજવણી કરવામાં આવશે, ત્યારે હાલ તો જગન્નાથ ટેમ્પલ કમિટી દ્વારા રથયાત્રા અંગે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં આવનારા દિવસોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવશે, ત્યારે ભરૂચ નગરની પ્રજામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કહેવાય છે કે, અષાઢી બીજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે અને ભક્તોને દર્શન આપશે, ત્યારે શહેરના નંદેલાવ રોડ સ્થિત આશ્રય સોસાયટી નજીક આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરેથી દર વર્ષે ઉડીયા સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે.

જોકે, વૈશ્વિક મહામારી કોરોનાને લઈ રથયાત્રા નીકળશે કે, નહીં તેની ચિંતામાં આયોજકોએ ઉત્સવની મંજૂરી માટે તંત્રમાં રજૂઆત પણ કરી છે. હાલ ઉડીયા સમાજ દ્વારા કાઢવામાં આવતી રથયાત્રાની તમામ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથ મંદિરના રંગરોગાન સાથે ભગવાનના રથને પણ કલરકામ કરવામાં આવી રહ્યું છે. જોકે, વહીવટી તંત્ર દ્વારા રથયાત્રા ઉત્સવના ઉજવણીની મંજૂરી આપવામાં આવે તો સરકારની ગાઈડલાઈન અનુસાર ઉજવણી કરવામાં આવશે તેવું ઉત્કલિકા ઉડીયા એસોસિએશનના ટ્રસ્ટીએ જણાવ્યું હતું.

Next Story