ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામ નજીક ભારે પવન સાથે વરસાદ વરસતા ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર શુક્લતીર્થ ગામના પાટિયા નજીક ભારે પવન સાથે વરસેલા વરસાદમાં મહાકાય વૃક્ષ માર્ગ પર ધરાશાયી થઈને પડતા પસાર થઈ રહેલ કાર અને રિક્ષા વૃક્ષની ભારદાર ડાળીઓ નીચે દબાય હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, રીક્ષામાં સવાર એક મહિલા મુસાફરનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અંકલેશ્વરથી કારમાં સવાર થઈ મેચ રમવા આવેલ કેટલાક યુવાનોને પણ ઇજાઓ પહોચી હતી.
અકસ્માતના બનાવમાં કારમાં સવાર ડ્રાઈવર સહિત 6 લોકો ફસાયા હતા. બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું. JCBની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ અન્ય ઈજગ્રસ્તોની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. જે પૈકી વધુ 2 યુવાનોના સારવાર દરમ્યાન મોત નીપજ્યાં હતા, ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે 3 લોકોના મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.