ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ખરેઠા ગામે શંકાસ્પદ ચાંદીપુરા કેસના કારણે 3 વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું છે, જ્યારે ધાણીખૂટ ગામના બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ખરેઠા ગામ ખાતે 3 વર્ષના બાળકને ખૂબ તાવ અને ખેચ આવતા તેમાં ચાંદીપુરા વાયરસ જેવા શંકાસ્પદ લક્ષણો દેખાતા તાત્કાલિક ધોરણે બાળકને સારવાર અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમ્યાન તા. 26 જુલાઇએ બપોરના સમયે તેનું મોત નિપજ્યું હતું. બાળકને ચાંદીપુરા પોઝીટીવ હતો કે, કેમ તેનો રિપોર્ટ આવતા હજુ 5 દિવસનો સમય લાગશે. જોકે, રિપોર્ટ આવતા પૂર્વે જ બાળકનું મોત નિપજ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ નેત્રંગ તાલુકાના ધાણીખૂંટ ગામેથી ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવ્યો હતો. જોકે, આ બાળકનો રિપોર્ટ નિગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.