દેશ અને દુનિયામાં જળ, જમીન, હવામાં થતા વિવિધ પ્રદુષણ થકી પૃથ્વી ગોળાનું તાપમાન એકંદરે વધી રહ્યું છે. દરવર્ષે ઉનાળો વધુ આકરો બની રહ્યો છે,
દેશમાં કેટલાક વિસ્તારોમાં રેકોર્ડતોડ ૫૨℃ તાપમાન નોંધાયું હતું. જેના કારણે પર્યાવરણ વિજ્ઞાન જગત અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે નિરાશા જોવા મળી હતી. પૃથ્વી પર પર્યાવરણને સમતોલ કરવા વધુ વૃક્ષની જરૂરત છે જેથી ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, ભરૂચ ફોરેસ્ટ વિભાગ અને નંદેલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આજરોજ નંદેલાવ ગ્રામ પંચાયત સામે આવેલ તળાવની પાળે ૫૦ થી વધુ છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને નંદેલાવ ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને સભ્યો દ્વારા પત્રકાર સ્વ.બાલકૃષ્ણ પાંડેના દુઃખદ નિધનના સમાચારને લઈ બે મિનિટનું મૌન ધારણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ તળાવની ફરતે વિવિધ છોડોને લઈ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગામના મહિલા સરપંચ લક્ષ્મીબેન ચૌહાણે જણાવ્યું હતું કે તમારી આસપાસ રહેલ વૃક્ષને પોતાનું એક બાળક સમજી તેનું જતન કરવું જોઈએ કારણ કે આ જ વૃક્ષ તમારા બાળકોને સ્વસ્થ જીવન માટે પૂરતું ઑક્સિજન આપે છે.
ડેપ્યુટી સરપંચ પ્રકાશ મેકવાનએ જણાવ્યું હતું કે ગુરુ અને શિષ્યના એકબીજાને આપવામાં આવતા માન સન્માનની ભાવનાને લઈ ગુરુ પૂર્ણિમાના દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ થકી સમાજમાં એક ઉદાહરણ ઉભું કરવાની કોશિશ કરવામાં આવી છે. નંદેલાવ ગામના જાગૃત નાગરિક ફારૂક પટેલે જણાવ્યું હતું કે ગતવર્ષે પણ નંદેલાવ ગ્રામ પંચાયત ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જે છોડનું જતન થતા તે આજે વૃક્ષ બની રહ્યા છે. ભરૂચ વનવિભાગના ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે જાગૃત નાગરિકો અને સરકારની કોશિશોને લઈ વૃક્ષોની વાવણી વધી છે અને લોકોમાં વૃક્ષનું મહત્વ વધ્યું છે. વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, નંદેલાવ ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સભ્યો હાજર રહી કાર્યક્રમનએ સફળ બનાવ્યો હતો.