-
જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરાયું આયોજન
-
માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી
-
વિદ્યાર્થીઓએ માતા-પિતાની વિશેષ પૂજા-અર્ચના કરી
-
માતા-પિતાના ચરણ સ્પર્શ કરી સન્માન વ્યક્ત કરાયું
-
માતૃ-પિતૃ વંદના દરમ્યાન લાગણીસભર દ્રશ્યો સર્જાયા
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ માતા-પિતાની પૂજા અને ચરણ સ્પર્શ કરી આદર સહિત સન્માન વ્યક્ત કર્યું હતું.
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજે તા. 14 ફેબ્રુઆરી-2025ના રોજ માતૃ-પિતૃ પૂજન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. માતા ઘરનું માંગલ્ય છે, તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માતા-પિતાની સેવા કરવી, તેમનું સન્માન કરવું તે બાળકોની નૈતિક ફરજ છે.
આંગળી પકડીને શાળામાં મૂકતા માતા-પિતાની ઘડપણની લાકડી પોતાના બાળકો બને તેવા સંસ્કારનું સિંચન કરતા માતૃ-પિતૃ પૂજનના કાર્યક્રમની શરૂઆત મંત્રોચ્ચાર અને દીપ પ્રજ્વલન થકી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ તેમના માતા-પિતાની પૂજા અને તેમના ચરણ સ્પર્શ કરી સન્માન વ્યક્ત કર્યું કર્યું હતું. શાળામાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ વેળા લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા.
આ સાથે જ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માતા-પિતાના મહિમા અંગે સંવેદનાત્મક કાવ્યો, ભજનો અને વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના ગુજરાતી માધ્યમના આચાર્યા મેઘના ટંડેલએ ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, "માતા-પિતા આપણાં પ્રથમ દૈવ છે. તેમની સેવા અને સન્માન કરવું એ આપણા જીવનનો મુખ્ય ધર્મ છે." તેમણે તમામ વિદ્યાર્થીઓને માતા-પિતાની સેવા અને સન્માનની સંસ્કૃતિ અપનાવવા માટે પ્રેરણા આપી હતી.
આ વિશેષ કાર્યક્રમમાં શાળાના GSCB અંગ્રેજી માધ્યમના આચાર્યા સિમી વાધવા, CBSC વિભાગના આચાર્યા રેખા શીલકે સહિત તમામ શિક્ષકો, શાળા સંચાલકો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.