ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના કાશીયા ગામ પાસેથી પસાર થતી અમરાવતી નદીમાં આવેલા પૂરમાં જુના કાસીયા ગામના દત્ત ગુપ્તવાસ અને ખેડૂતોની મહામૂલી જમીન ગરકાવ થઈ ગઈ છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ-વાલિયા અને અંકલેશ્વરમાં પડેલા ધોધમાર વરસાદના પગલે અમરાવતી નદી ગાંડીતુર બની હતી. જેમાં પશુ તળાઈ જવા સાથે રોડ પણ ધોવાઈ ગયા હતા. આ વચ્ચે વધુ એક ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે. નર્મદા નદીમાં જ્યાં અમરાવતી નદી વિલીન થાય છે, તેવા જુના કાશીયા ગામ નજીકના મુખ પ્રદેશમાં ખેડૂતોની મહામૂલી જમીન અમરાવતીના નીર ભરખી ગયા હતા. એક જ રાતમાં 30થી 50 વીઘા જમીન પાણીમાં મહામુલા પાક સાથે ગરક થઇ ગઈ હતી.
ગત રોજ બનેલી ઘટનામાં દત્ત પરિવાર માટે આસ્થાનું કેન્દ્ર એવા નારેશ્વરના દત્ત અવતારી શ્રી રંગ અવધૂત બાપજીના ગુપ્ત એકાંત વાસની આંબાવાડી સુધી ધોવાણ પહોંચતા આશ્રમની આંબાવાડીના 7 જેટલા આંબા સાથે 4 વીઘા જેટલી જમીન પાણીમાં ગરક થઇ જવા સાથે અમરાવતીના નીર આશ્રમ તરફ 30 ફૂટ અંદર સુધી ધસી આવ્યા હતા. જેને લઇ આશ્રમ ખાતે રહેતા પૂજક પરિવાર ભારે ચિંતામાં મુકાઈ જવા સાથે ભયભીત બની ઉઠ્યો છે. ખાસ કરીને નારેશ્વરના દત્ત અવતારી શ્રી રંગ અવધૂત બાપજીના ભક્તોનું આસ્થાનું સ્થાન હોવાથી સરકારી તંત્રના જે તે વિભાગને તાત્કાલિક વરસાદી પાણી તથા અમરાવતી નદીના રેલના પાણીથી વધુ નુકશાન નહીં થાય તે અંગે યોગ્ય પગલાં લેવા દત્ત પરિવારના ભક્તોએ માંગ કરી છે.