દેવાધિદેવ મહાદેવની મહારાત્રિ એટલે મહાશિવરાત્રી
શિવજીએ માનવસ્વરૂપ ધારણ કરીને પૃથ્વી પર કરી હતી પદ્યરામણી
અણુએ અણુમાં રહેલા વ્યાપક ચૈતન્યનું દ્વિતીય નામ છે શિવ
જીવત્વમાંથી શિવત્વમાં પ્રેરણા આપનાર શુભ દિવસ
કનેક્ટ ગુજરાતના માધ્યમથી જાણો મહાશિવરાત્રીનું મહત્વ
દેવાધિદેવ મહાદેવની મહારાત્રિ એટલે મહાશિવરાત્રી. આ મહારાત્રીએ નિરાકાર ગણાતા શિવજીએ માનવસ્વરૃપ ધારણ કરીને પૃથ્વી પર સજીવ પદ્યરામણી કરી હોવાની માન્યતા છે. એટલે જ તો શિવરાત્રીનું મહાપર્વએ જીવ અને શિવનાં મહામિલનનું પ્રતિક ગણાયું છે.આ પાવન અવસર પર કનેક્ટ ગુજરાતની ટીમે અંકલેશ્વર જીઆઇડીસીના પશુપતિનાથ મહાદેવ મંદિરની મુલાકાત લઈને ભક્તોની ધર્મભીની આસ્થા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મહામાસની કૃષ્ણ પક્ષની ચૌદશની શિવરાત્રી, ભગવાન શિવજીને ખૂબ જ પ્રિય છે.જેનો શિવતત્વ સાથે ગાઢ સંબંધ સંકળાયેલો છે.આવી આ મહાશિવરાત્રિ એટલે વ્યષ્ટિમાંથી સમાષ્ટિમાં, જીવત્વમાંથી શિવત્વમાં પ્રેરણા આપનાર શુભદિવસ.જેનો અંતિમ ઉદ્દેશ, જીવતરની એક એક ક્ષણને શિવત્વયુક્ત કરવાની છે.
શિવ અને શક્તિએ વિશ્વનાં એવા સનાતન યુગલ છે કે સદીઓથી આ દેશની આધ્યાત્મિક પરંપરા સાથે જોડાયેલા છે.ભગવાન શિવજીનાં અગણિત રૂપ છે.તેનું અનાદિ અને નિરાકાર રૂપ એટલે શિવલિંગ, જે માનવ આકૃતિમાં નથી. શિવજીનાં પ્રાગટય સમય રાત્રીનો છે, જે મહાશિવરાત્રી કહેવાય છે. આ પર્વ એટલે પરમાત્મામાં થયેલા શિવનાં દિવ્ય અવતારનું પાવન પર્વ.
શિવજી અણુથી પણ સૂક્ષ્મ અને પર્વતથી વધારે મહાન છે, તેઓ દરેક જીવની હૃદય ગુહામાં વાસ કરે છે.અણુએ અણુમાં રહેલા વ્યાપક ચૈતન્યનું દ્વિતીય નામ છે, શિવ. જીવ આત્મા છે, તો શિવ પરમાત્મા છે.
કનેક્ટ ગુજરાતની ટીમ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીના ભક્તોની આસ્થાનું કેન્દ્ર શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરની મુલાકાત લઈને મહાશિવરાત્રીના પાવન પર્વનું માહાત્મ્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો,અને મહારાજ વીરેન્દ્ર ઓઝા સાથે ખાસ વાતચીત કરી હતી.