આવકમાં સરેરાશ 2 ટકાનો વધારો, હાઉસ ટેક્સમાં 3 ટકા જેટલો વધારો, વ્યવસાય વેરામાં 1.5 ટકાનો વધારો
અંકલેશ્વરમાં બાકી પડતા વેરાની વસુલાત માટે તંત્ર દ્વારા કડક રાહે કામગીરી કરવામાં આવી હતી જેમાં નોટીસ ફટકારવાની સાથે સીલિંગ અને પાણી જોડાણ કાપવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારે પાછલા નાણાકીય વર્ષમાં નગરસેવા સદનની વેરાની આવકમાં વધારો થયો છે.
અંકલેશ્વર નગરપાલિકાના ૨૦૨૪-૨૫ નાણાકીય વર્ષ દરમ્યાન વ્યવસાય વેરાનુ કુલ માંગણુ રૂ.1.65 કરોડ હતુ જેની સામે કુલ રૂ.1.43 કરોડની વસુલાત થતા અંદાજિત 87.12 ટકા વસુલાત થઈ છે. ગત વર્ષે 85.86 ટકા વસુલાત થઈ હતી ત્યારે ગત વર્ષની સરખામણીમાં વ્યવસાયવેરાની આવકમાં 1.26 ટકાનો વધારો થયો છે.
તો બીજી તરફ હાઉસ ટેક્ષની વાત કરીએ તો વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ માંગણુ રૂ.12.22 કરોડ હતુ જે સામે કુલ રૂ.9.16 કરોડની વસુલાત થતા કુલ વસુલાત 74.92 ટકા થઈ છે.ગત વર્ષે હાઉસ ટેક્સમાં 71.98 ટકા વસુલાત થઈ હતી જેની સરખામણીએ હાઉસ ટેક્ષની આવકમાં 2.94 ટકાનો વધારો થયો હતો.
અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલે આ અંગે જણાવ્યુ હતુ કે વ્યવસાય વેરો તેમજ હાઉસ ટેક્ષની આવક થયેલા વધારાને કારણે આગામી વર્ષમાં પાલિકાના પ્રજાલક્ષી કાર્યોને વધુ સુચારુરૂપે ચલાવવા આયોજન કરી શકાશે.