ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ભરુચી નાકા વિસ્તાર સ્થિત હરિદર્શન ટાઉનશિપ ખાતે આજરોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી.
છેલ્લા 21 વર્ષથી અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ હરિદર્શન ટાઉનશિપ સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે સતત 22માં વર્ષે પણ આયોજકો દ્વારા જગન્નાથ રથયાત્રાને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ અષાઢી બીજ નિમિત્તે સવારે 11 કલાકે જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, રામકુંડ મંદિરના મહંત પ્રિયાન્શુ મહારાજ, ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિતના મહાનુભાવોએ ભગવાન જગન્નાથજીના પૂજન-અર્ચનમાં સહભાગી થઈ રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. ભાઈ બલરામ, બહેન સુભદ્રા સાથે ભગવાન જગનાથજી નગરચર્યાએ નીકળતા અલભ્ય દ્રશ્યો સર્જાયા હતા.
રથયાત્રા દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકભક્તો ઉમટ્યા હતા, જેઓએ જગતના નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ રથયાત્રા અંકલેશ્વરના ભરૂચી નાકા, જયોતિ ટોકિઝ, ચૌટા બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી સેલાડવાડ થઈ પાંજરાપોળ થઈ મંદિરે પરત પહોચશે. રથયાત્રા અવસરને લઈ યજ્ઞ, મહાપ્રસાદી, ભજન, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.