New Update
અંકલેશ્વરમાં દાંડી રોડનું નવનિર્માણ
માર્ગના કામમાં બેદરકારીના આક્ષેપ
યોગ બોર્ડની મહિલાઓની ગાંધીગીરી
સ્પીડ બ્રેકર પર જાતે જ કર્યું કલરકામ
અનોખી રીતે વિરોધ નોંધાવ્યો
અંકલેશ્વરના દીવા રોડના નવીનીકરણની કામગીરીમાં નગર સેવા સદન દ્વારા વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપ સાથે યોગ બોર્ડની મહિલાઓ દ્વારા ગાંધીગીરી કરવામાં આવી હતી. નવનિર્મિત માર્ગ પર બમ્પર પર સૂચક પટ્ટા ન હોવાથી થતા અકસ્માતો ટાળવા મહિલાઓ દ્વારા જાતે જ કલરકામ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ દાંડી હેરિટેજ માર્ગ અંતર્ગત અંકલેશ્વરના દીવા રોડના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રૂપિયા 28 લાખના ખર્ચે આ કામગીરી હાથ ધરાઈ હતી જોકે માર્ગની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ તેના ઉપર રહેલ ડસ્ટ ક્વોરી સાફ ન કરાતા વાહનો સ્લીપ થઈ જવાના અનેક બનાવો બનતા હતા સાથે જ ધૂળ ઉડતા સ્થાનિકો તેમજ આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ તરફ માર્ગ પર અનેક જગ્યાએ બમ્પર બનાવવામાં આવ્યા છે પરંતુ બમ્પરના સૂચક પટ્ટા ન લગાવવામાં આવતા અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા હતા ત્યારે નજીકમાં કાર્યરત યોગ બોર્ડની મહિલાઓ દ્વારા આજરોજ ગાંધીગીરી કરવામાં આવી હતી. મહિલાઓ દ્વારા ટ્રાફિકને અડચણ ન પહોંચે તે રીતે માર્ગ પર રહેલ ડસ્ટ સાફ કરવામાં આવી હતી સાથે જ બમ્પર પર કલર કામ પણ કરવામાં આવ્યું હતું.આ અંગે યોગ બોર્ડના હેનીબહેન ચૌહાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે નગરસેવા સદન દ્વારા આ માર્ગની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી છે અને જે એજન્સીએ કામ કર્યું છે તેણે કામ અધૂરી મૂકી દીધું છે ત્યારે એજન્સીના પૈસા કાપી તેને બિલનું ચૂકવવું થવું જોઈએ.
આ અંગે નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે દાંડી માર્ગની કામગીરી હજુ બાકી છે. ડામર રોડનું કામ પૂર્ણ થઈ ગયા બાદ તેના પર સાફ-સફાઈ કરી ફરીથી તેના પર ડામર પાથરવામાં આવશે અને ત્યારબાદ બમ્પર છે તેના પર કલર પટ્ટા લગાવવામાં આવશે.