New Update
સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ સંવેદનશીલ ગણાતા ભરૂચમાં પણ કોમી તંગદિલી ફેલાઈ હતી.કુકરવાડા વિસ્તારમાં ધાર્મિક તહેવારોના ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા સામ સામે આવી જતા વાતાવરણ ગરમાયું હતું. આ મામલે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સંવેદનશીલ ગણાતા ભરૂચમાં પણ વાતાવરણ ડોહળાયુ હતું.ભરૂચના પશ્ચિમમાં કુકરવાડાના ગોકુલનગર વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે. હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદ-એ- મિલાદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા હતા. ત્યારે એકબીજાનાં ઘર પાસે તોરણો નહીં લગાવવા અપીલ કર્યા બાદ પણ લગાવાતા મામલો બિચક્યો હતો અને જોતજોતામાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. ઉગ્ર બોલાચાલી બાદ ટોળાં વચ્ચે મારામારીનાં દૃશ્યો પણ જોવા મળ્યાં હતાં.આ બનાવની જાણ થતાં જ ભરૂચ જિલ્લા એસપી મયૂર ચાવડાએ સ્થળ પર પહોંચી હેડક્વાર્ટર ડીવાયએસપી, LCB, એસઓજી,બી ડિવિઝન, તાલુકા પોલીસના પીઆઈ, પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ખડકી ત્યાં ટોળે થયેલા તમામ લોકોને વિખેરી પરિસ્થિતિ પર તાત્કાલિક કાબૂ મેળવ્યો હતો.આ બનાવમાં 2 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલોસે રાત્રીના સમયે તાબડતોડ કાર્યવાહી કરી 17 લોકોની અટકાયત કરી છે અને રાયોટીંગ તેમજ મારામારી સહિતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે