-
ભરૂચ જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
-
ગેર કાયદેસર માટી ખનનનો વિરોધ
-
ખાણ-ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ
-
પોલીસ સાથે સર્જાયા ઘર્ષણના દ્રશ્યો
-
પોલીસે કેટલાક આગેવાનોની કરી અટકાયત
ભરૂચ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન મામલામાં કોંગ્રેસ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન યોજાયું હતું.કોંગ્રેસના આગેવાનોએ ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસ અને આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા.
ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. અગાઉ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આ બાબતે અધિકારીઓનો ઉધડો લીધા બાદ આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચાર કર્યા હતા.
સાથે જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરાયો હતો.આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો સાથે પોલીસનું ઘર્ષણ પણ થયું હતું દરમિયાન પોલીસે કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.આ સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખન્ન, તથા ભુમાફીયાઓ દ્વારા આદિવાસી લોકોને તથા સમાજના અન્ય પછાત વર્ગના લોકોને રાજકીય વગ વાપરી ગેરકાયદેસર માટી ખોદાણ તથા આદિવાસી લોકોની જમીન ગેર કાયદેસર રીતે ૭૩ એએની પરમીશન આપી આદિવાસીઓને જમીન વિહોણા કરી દેવામાં આવે છે.આ સમગ્ર પ્રક્રિયામાં ભુમાફીયા સાથે વહીવટી તંત્ર તેટલું જ જવાબદાર છે. અને તેમની સામે પણ કડકમાં કડક ભરવામાં આવે એવી માંગ કરાય છે
આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓની મિલીભગતથી સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનું કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે આવા તત્વોને ખુલ્લા પાડી તેઓ વિરુદ્ધ કડક પગલાં ભરાવા જોઈએ.