-
ભરૂચમાં કોંગ્રેસ દ્વારા કરાયુ વિરોધ પ્રદર્શન
-
નગરપાલિકામાં આવેદનપત્ર પાઠવાયું
-
શાસકો દ્વારા ભ્રષ્ટચાર આચરાતો હોવાના આક્ષેપ
-
કાર્યવાહી ન કરવામાં આવે તો કોંગ્રેસની ચીમકી
-
કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારાય
ભરૂચ નગર પાલિકા રોડ રસ્તાના કામ શહેરના વિકાસ માટે નહિ પરંતુ પોતાના ભ્રષ્ટાચારના વિકાસ માટે કરી રહી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરી જો આ પ્રવૃત્તિ ન અટકે તો કચેરીને તાળા બંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ચોમાસા દરમિયાન ખખડધજ બનેલા ભરૂચના રસ્તા ફરી વાહન વ્યવહાર માટે અનુકૂળ બનાવવાના વાયદા સાથે કરોડાના ગ્રાન્ટના ખર્ચે રસ્તાઓનુ નવીનીકરણ અને રસ્તાઓનું રીકાર્પેટીંગ કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં મહમંદપુરા બાયપાસ રોડ ઉપર કરાયેલું કાર્પેટીંગ એક જ રાતમાં તેની હલકી ગુણવત્તા ચાડી ખાવા લાગ્યું હતું.વિપક્ષ આ મુદ્દે શાસકોને ઘેરવાના મુડમાં છે જેમણે મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી પ્રજાની સુખાકારીના કાર્યમાં ગોબાચારી ઉપર લગામ ન લાગે તો કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.વિપક્ષે પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મહંમદપુરાથી જંબુસર બાયપાસ અને મહંમદપુરાથી વેજલપુર થઈ દહેગામ ચોકડી સુધીનો રસ્તો પણ ખરાબ છે અને ખાડા છે. આ વિસ્તાર વર્ષો થી નિયમિત રીતે ટેક્ષ ભરતો વિસ્તાર છે અને આમ છતાંયે આ વિસ્તારમાં રોડ રસ્તાની હાલત અત્યંત દયાનીય છે અને એ પુરવાર કરે છે કે નગર સેવા સદનના અધિકારી અને પદાધિકારીઓ અધિકારીઓ આંખે પટ્ટી બાંધી શાસન કરી રહયાં છે.