-
જિલ્લા સહિતના તાલુકાઓમાં વરસ્યો હતો વરસાદ
-
ભારે પવન સાથે આવેલા વાવાઝોડાએ તારાજી સર્જી
-
ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પાકને થયું મોટું નુકશાન
-
અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તંત્રને પાઠવાયું આવેદન પત્ર
-
સરકાર દ્વારા વળતર ચૂકવવાય તેવી ખેડૂતોની માંગ
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વિવિધ ગામોમાં આવેલા વાવાઝોડાના કારણે ખેતરોમાં કેળના ઊભા પાકમાં મોટું નુકશાન થયું છે, ત્યારે સરકાર દ્વારા સર્વે કરાવી સહાય ચૂકવાય તે માટે ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ભરૂચ જીલ્લામાં તાજેતરમાં આવેલા મીની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ખેડૂતોએ મહેનતથી તૈયાર કરેલો પાક લણણીના સમયે જ કમોસમી વરસાદનો ભોગ બન્યો છે, ત્યારે ઝઘડીયા તાલુકાના કૃષ્ણપુરી, વઢવાળા, હરીપુરા, નવાપુરા, વહેવાળા, વબાપોર, કાકલપોર, સરસાડ, ઉમઘરા અને ભાલોદ જેવા ગામોમાં પણ ખેડૂતોએ મોટું નુકસાન વેઠ્યું છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર, વાવાઝોડું એટલું તીવ્ર હતું કે, ઘણા ખેતરોમાં કેળ સહિતના ઊભા પાકોના છોડ જમીનદોસ્ત થયા છે, ત્યારે આર્થિક નુકસાનીને ધ્યાનમાં રાખીને ઝઘડીયા તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ ત્વરિત સર્વે યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી લેખિત રજૂઆત કરતું આવેદન પત્ર ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવ્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે, તેઓએ પાક માટે લોન લીધી હતી, અને હવે પાક નષ્ટ થતા ચૂકવણી કેવી રીતે થશે તેની ચિંતા ઊભી થઈ છે. ખેડૂતો હાલ તંત્ર તરફ સહાયની અપેક્ષા રાખી રહ્યા છે.