-
આંગણવાડી કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું ભવ્ય આયોજન
-
આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી કરાય
-
આંગણવાડી કેન્દ્ર દ્વારા વિવિધ વાનગીનું નિદર્શન કરાયું
-
પૌષ્ટિક આહાર અંગે યુવતીઓને વિસ્તૃત માહિતી અપાય
-
મોટી સંખ્યામાં મહિલાઓ-આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિ
ભરૂચ શહેરના વિવિધ આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શહેરમાં ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
દેશમાં કુપોષણ નાબૂદ કરવા અથાગ પ્રયત્નો કરી ધાત્રી માતા, સગર્ભા બહેનો, કિશોરીઓ તથા બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે. જે લાભો લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ભરૂચ જિલ્લા કેન્દ્રોની આંગણવાડી બહેનો સતત કાર્યશીલ રહે છે, ત્યારે વિવિધ આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
જેમાં કિશોરીઓને પોષણ અંગે સવિસ્તાર માહિતી સાથે સમજ આપવામાં આવી રહી છે, તેમજ આજની ભાગદોડવાળી જિંદગીમાં બહારનું ખાવાનું ટાળવું જોઈએ, ઘરે બનાવેલ પૌષ્ટિક આહાર લેવા જોઈએ તથા પૌષ્ટિક મિલેટ્સ આધારિત ધાન્ય બાજરી, રાગી, કાંગ, જુવાર, કોદરા સહિતની વાનગી અંગે સુંદર માહિતી આપી દરેકને ઉપયોગમાં લેવા અપીલ કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે ભરૂચ શહેરમાં ડો. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાની 21 આંગણવાડી કેન્દ્રોની બહેનો દ્વારા વિવિધ વાનગીઓને પ્રદર્શિત કરવામાં આવી હતી. જેનું નિરીક્ષણ કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા હતા. જેમાં નિર્ણાયક તરીકે વાલિયા સ્થિત નવજીન કોલેજના આચાર્ય, પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા આરોગ્ય આધિકારી ડો. જે.એસ.દુલેરા, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરા કામત સહિત પ્રોગ્રામ ઓફિસર ઉપસ્થિત રહી આંગણવાડીની મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા.