-
ભરૂચના રાજકારણમાં ગરમાવો
-
પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ છોડ્યું
-
સી.આર.પાટીલને રાજીનામુ મોકલ્યું
-
કામને ન્યાય ન મળતો હોવાના આક્ષેપ
-
યોગ્ય સ્થાન ન મળતા ભાજપને અલવિદા કહ્યું હોવાની ચર્ચા
આદિવાસીઓના સુપ્રિમો છોટુ વસાવાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચમાં કાળઝાળ ગરમી વચ્ચે આજનો દિવસ રાજકીય ગરમાવા વાળો રહ્યો હતો. એક તરફ કોંગ્રેસ અને આપમાં ભંગાણ સર્જાતા 97 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા તો બીજી તરફ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો હતો અને રાજીનામું પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને મોકલ્યું હતું.તાજેતરમાં મહેશ વસાવા માજી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ ભાજપમાં જોડાયા હતા. તેમણે પક્ષમાં પોતાના કામને ન્યાય મળતો ન હોવાનો આક્ષેપ કર્યો છે.
ભાજપમાંથી રાજીનામું આપતાં આદિવાસી નેતા તરીકે જાણીતા મહેશ વસાવાએ કહ્યું હતું કે, 'ભાજપમાં કામને ન્યાય નથી મળતો.' જો કે, હવે આક્ષેપો અને નિરાશા સાથે તેમણે ભાજપ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. તેઓએ તેમના રાજીનામાં પત્રમાં ભાજપ અને આર.એસ.એસ.ની વિચારધારાને ખતમ કરવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. તેઓ આદિવાસીઓના દિગગજ નેતા છોટુ વસાવાના પુત્ર છે. મહેશ વસાવા ડેડિયાપાડાથી પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે 11મી માર્ચ 2024ના રોજ ગાંધીનગરના ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના વડા મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા.