ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી ધર્મનગર સોસાયટીના મકાનમાંથી રૂ. 1.10 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં મકાન માલિકે સી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલી ધર્મનગર સોસાયટીમાં રહેતાં પિયુશ પટેલ મોબાઇલ ડિસ્ટ્ર્યુબિશનનો વેપાર કરે છે. મળતી માહિતી અનુસાર, ગત રાત્રીએ તેઓ તેમની પત્ની સાથે તેમના ઘરના ઉપરના માળે આવેલાં બેડરૂમમાં સુવા માટે ગયા હતા. સવારે ઊંઘમાંથી ઉઠતાની સાથે જ નિત્યક્રમ મુજબ દંપત્તિ મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર આવતાં તેમના ઘરના બેડરૂમના દરવાજા ખુલ્લા હોવાથી મકાનમાં ચોરી થઈ હોવાનું જણાય આવ્યું હતું. ઘરમાં તપાસ કરતાં નીચે રસોડાની બાજુમાં આવેલાં બેડરૂમની બારીની ગ્રીલના કોઇ સાધન વડે સળિયા તોડી નાખેલા જણાતા તેમણે તેમના ઘરની બહાર લગાવેલાં સીસીટીવીના ફૂટેજ તપાસતા રાત્રીના અંદાજે 1 વાગ્યાના અરસામાં 2 શખ્સોએ ચોરી કરી ચોરીનો સામાન લઇને ફરાર થતાં જોવા મળ્યા હતા. ઘરમાંથી રૂ. 47 હજારની 3 મોંઘીદાટ ઘડિયાળ તેમજ રોકડા 63 હજાર મળી કુલ રૂ. 1.10 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો રફૂચક્કર થઇ જતાં બનાવ સંદર્ભે મકાન માલિકે ભરૂચ શહેર સી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.