ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કડોદરા ગામ ખાતે છેલ્લા 20 દિવસથી આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ કડોદરા ગામ ખાતે છેલ્લા 20 દિવસથી કપિરાજના આતંકથી ગ્રામજનો ભયભીત બન્યા હતા. ગામના અનેક લોકોને કપિરાજે બચકાં ભરી વાનરસેનાએ લોકોને હેરાન પરેશાન કરી મુક્યા હતા.
વાગરા તાલુકામાં આવેલ કડોદરા ગામેં છેલ્લા કેટલાક દિવસથી 25થી 30 જેટલા વાનરોનો કાફલો ગામમાં આવી પહોચતા જ ગામમાં રહેતા મહિલાઓ, બાળકો તેમજ વૃદ્ધોને બચકાં ભરી લેતા ગામના લોકો હેરાન પરેશાન થઈ જવા પામ્યા હતા. સમગ્ર બનાવની જાણ કડોદરા ગામના સરપંચને થતા તેઓએ વાગરા ખાતે આવેલ જંગલ ખાતાની કચેરીએ જાણ કરતાં જંગલ ખાતાના અધિકારીઓએ ટીમ સાથે કડોદરા ગામે પાંજરું લઈને દોડી ગયા હતા.
તોફાની એક કપિરાજ આખરે વન વિભાગના પાંજરે પુરાય જવા પામ્યો હતો. જેને પીંજરા સાથે વાગરા જંગલ ખાતાની ઓફિસમાં લાવવામાં આવ્યો હતો. જેને વેટરનરી ડોક્ટરની તપાસ ખોરાક-પાણી મળી રહે તેવા કુદરતી વાતાવરણમાં છોડી મુકવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, હજુ પણ ગામમાં અસંખ્ય વાનરોએ અડિંગો જમાવ્યો છે. તોફાની વાનરોએ ગામમાં રહેતા ધર્મેન્દ્ર ગોહિલને બચકાં ભરી લેતા તેઓ પડી જતાં હાથે ફેકચર થવા પામ્યુ હતું. આ સાથે જ ગામમાં રહેતા લક્ષ્મીબેનને પણ તોફાની વાનરે હાથમાં કોણી ઉપર બચકાં ભરી લેતા તેઓને પણ સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.
આ વાનર સેનાની કૂદાકૂદમાં એક બાળક પડી જતાં તેને માથામાં કપાળના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી. હાલમાં કડોદરા ગામમાં વાનરોના ટોળાંની હાજરીથી ગામના લોકો ભયભીત બન્યા છે. જેથી કડોદરા ગામમાં આતંક મચાવી રહેલા અન્ય વાનરોને પણ વન વિભાગ પાંજરે પુરી ગ્રામજનોની પરેશાનીનો અંત લાવે તેવી માંગ ઉઠવા પામી છે.