-
કિસાન સન્માન સમારોહ યોજાયો
-
જિલ્લાના 1.68 લાખથી વધુ ખેડૂતોને મળ્યો લાભ
-
ખેડૂતોના બેંક ખાતામાં કિસાન નિધિ કરવામાં આવી જમા
-
કૃષિ અને સંલગ્ન માહિતીના સ્ટોલ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા
-
પ્રગતિશીલ ખેડૂતોને પ્રશસ્તિપત્ર આપીને કરાયું સન્માન
ભરૂચના ઝાડેશ્વર ખાતે સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં જિલ્લા વહીવટ તંત્રના ઉપક્રમે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં બિહારના ભાગલપુર ખાતેથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન નિધિ યોજનાના 19માં હપ્તા સ્વરૂપે ડી.બી ટી.માધ્યમથી સહાય રકમનું વિતરણ કરાયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ કરતા સમગ્ર દેશના 9.7 કરોડ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા 22,000 કરોડની સહાય જમા કરી હતી.જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના 1,68,625 ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા 10 કરોડ 11 લાખ 750 કિસાન સન્માન નિધિની સહાય જમા કરાઈ હતી.
આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજય સરકાર સતત ચિંતિત છે. ખેડૂતો અને પશુપાલકોની હંમેશા ચિંતા કરી ખેડૂતોલક્ષી પ્રશ્નો સાંભળી તેનો હકારાત્મક ઉકેલ લાવવા હંમેશા કટીબધ્ધ રહી છે.
આ તબક્કે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા અને અન્ય જનપ્રતિનિધિઓ તેમજ જિલ્લાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા તેમજ સરકારની તમામ યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.જ્યારે જિલ્લાના અગ્રણી ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી વિષયક કૃષિ માર્ગદર્શન આપ્યું હતું. અને જિલ્લા કક્ષાનું કૃષિ પ્રદર્શન યોજાયું હતું.જેમાં ખેડૂતો ખેતીની નવીન ટેકનોલોજીથી માહિતગાર થઈ શકે તે માટે કૃષિ પ્રદર્શનમાં કૃષિ અને સંલગ્ન માહિતીના સ્ટોલ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ખેતીવાડી, પશુપાલન અને આત્મા વિભાગની યોજના અંતર્ગત સહાયના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તથા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
કિસાન સન્માન સમારોહના કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતી પટેલ, જિલ્લા અગ્રણી મારૂતિસિંહ અટોદરિયા, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, આરોગ્ય વિભાગના ચેરમેન અનિલ વસાવા, અંકલેશ્વર તાલુકા પ્રમુખ પુષ્પાબેન, જિલ્લા પંચાયત સદસ્ય શૈલા પટેલ, ખેતીવાડી અધિકારી પ્રવિણ માંડાણી, આત્મા-ભરૂચના પ્રોજેક્ટ ડાયરેક્ટર અબ્દુલ્લા પઠાણ, મદદનીશ ખેતીવાડી અધિકારી કુલદીપ વાળા, નાયબ બાગાયત નિયામક હિરેન, ખેતીવાડી વિભાગના સ્ટાફ, અગ્રણી ખેડૂતો સહિત ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.