ભરૂચ જિલ્લાના ઝઘડીયા પંથકના આદિવાસીઓ માટે મહુડાના ફળ એવા ડોળીમાંથી બનતું તેલ આશીર્વાદરૂપ સાબિત થયું છે, ત્યારે હાલ ડોળીમાંથી તેલ પિલવાની સીઝન શરૂ થતાં જ તેલ પિલવાની ઘંટીએ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
હાલ આદિવાસીઓ ડોળીમાંથી તેલ કઢાવા માટે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે લાઈન લગાવી રહ્યા છે. મોંઘાદાટ સીંગતેલની અવેજીમાં ડોળીનું તેલ આદિવાસીઓને સાવ મફતમાં સસ્તું પડે છે. સાવ મફતમાં પડતું આરોગ્ય વર્ધક તેલ આદિવાસીઓ સમગ્ર વર્ષ માટે ભરી રાખે છે. માલીશ માટે અને ખાવામાં વપરાતું તેલ આદિવાસીઓનું ટોનિક ગણાય છે. સામાન્ય રીતે ગુજરાતીઓ ખાદ્યતેલ તરીકે સીંગતેલ, કપાસીયા, સૂરજમુખી, રાયડા અને સરસવનું તેલ વાપરતા હોય છે.
પરંતુ આદિવાસીઓ ડોળીનું તેલ ઉપયોગમાં લઈ રહ્યા છે. ઝઘડીયા પંથકમાં પુષ્કળ મહુડાના ઝાડ આવેલા છે, તેના પર ડોળી નામનું ફળ લાગે છે. આ ફળ પાકે ત્યારે તે નીચે જમીન પર પડી જાય છે. આદિવાસીઓ ડોળીને વીણી તેને ફોડી સુકવીને કોથળા તેમજ થેલા ભરી લે છે. હાલ ડોળીમાંથી તેલ પિલવાની સીઝન શરૂ થઈ છે. હાલ આદિવાસીઓ કોથળામાં ડોળી ભરીને તેલ પિલવાની ઘંટીએ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. સાથે જ તેલનો ખાલી ડબ્બો લઈને આવે છે, પછી એ ડબ્બામાં ડોળીનું તેલ ભરીને ઘરે લઈ જાય છે. માત્ર તેલ પિલવાનો ખર્ચ નજીવો હોવાથી સરવાળે આદિવાસીઓને આ તેલ સાવ મફતમાં પડી રહે છે. ખાવામાં પણ આરોગ્ય વર્ધક હોવાથી ડોળીનું તેલ ખાતા આદિવાસીઓ ક્યારેય બીમાર પડતા નથી. હાલ ઉમલ્લા ખાતે તેલ પીલવાની ઘંટીએ તેલ પિલાવા આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.