New Update
ભરૂચમાં વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલી દબાણ હટાવો ઝુંબેશ સામે સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે અને આ મામલે કલેક્ટર તુષાર સુમેરાને કડક ભાષામાં પત્ર લખ્યો છે.
મનસુખ વસાવા લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર" શનિવારના રોજ નેત્રંગ ચાર રસ્તાના વર્ષો જુના દબાણો હતા અને તે કોઇને નડતરરૂપ ન હતા. તે દબાણો પોલીસના કાફલા સાથે વાઘ મારવાની સ્ટાઇલથી સવારના ૭=૦૦ ક્લાકથી સાંજના ૭=૦૦ ક્લાક સુધી જે.સી.બી. બુલ્ડોઝરથી તોડી નાંખ્યા તેનાથી હું ખુબ જ નારાજ છું. હું જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહજી અટોદરીયા સાથે આપને અમોએ રૂબરૂમાં મળીને જણાવેલ કે, અમને થોડો સમય આપો જે જરૂરી હશે નડતરરૂપ હશે તેવા દબાણો અમે જે તે ઇસમોને સમજાવીને હટાવી લઇશું. આ બધા ગરીબ | માણસો છે. આજ લારી-ગલ્લાવાળા ઉપર તેમના પરીવારનો જીવનનિર્વાહ ચાલે છે. SC, ST તથા OBC સમાજના ગરીબ પરીવારો છે. આગામી સમયમાં દિવાળીનો તહેવાર પણ આવે છે, નવરાત્રિનો ઉત્સવ પણ ચાલે છે. તો થોડો ટાઇમ થોભી જવા માટે અમોએ આપને સ્પષ્ટ જણાવેલ હતું. તેમ છતાં તમે સરકારના ઉચ્ચ પદાધિકારીઓ/અધિકારીઓના આદેશથી ગરીબોના રોજગાર ધંધા રફે -દફે કરી નાંખ્યા તેનાથી હું ખુબ જ દુ:ખી છું.
આપ તથા આપને આદેશ આપનાર સરકારમાં બેઠેલાઓને મારી વિનંતિ છે કે, જીલ્લાના બધા જ રોડ- રસ્તા તુટી ગયા છે, વારંવાર આ તમામ રસ્તાઓ વાહનો ચાલે તેવા નવા બને ત્યાં સુધીમાં સારા ડામરના પેચવર્કના કામો કરાવો પણ તે તમારે નથી કરાવવા અને પ્રજાનું બીજે ધ્યાન ખસેડી લારી-ગલ્લાઓના દબાણ હટાવવા અંગેની શોબાજી કરો છો. આવા તમારા કાર્યોથી પ્રજા ખુબ જ નારાજ તથા દુ:ખી છે. તમે તથા તમને આદેશ આપનાર ગાંધીનગરમાં એ.સી. કચેરીઓમાં બેઠેલાઓ ૧ દિવસ અંકલેશ્વર થી નેત્રંગ, નેત્રંગ થી રાજપારડી થઇ ગુમાનદેવ વાયા ગોવાલી થઇ ભરૂચ થી દહેજ સુધીની પ્રદક્ષિણા કરો તો તમને સાહેબ પ્રજાના પ્રશ્નોનો સાચો ખ્યાલ આવશે.
Latest Stories