-
ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ વિસ્તારમાં પાણી માટે પોકાર
-
પાંચ દશક જુના ડેમ અને કેનાલની જર્જરિત હાલત
-
ડેમ અને કેનાલનું નવીનીકરણ કરવા માટે ઉઠી માંગ
-
5835 હેક્ટર જમીનમાંથી માત્ર 400 હેક્ટરને જ મળે છે પાણી
-
ખેડૂતોએ સાંસદ મનસુખ વસાવાને કરી રજૂઆત
ભરૂચ જિલ્લાના નેત્રંગ,વાલીયા અને ઝઘડિયા તાલુકાના આદિવાસી ગામોમાં સિંચાઇના પાણીએ ખેડૂતોની ચિંતા વધારી છે.ત્યારે ડેમ અને કેનાલોનું યોગ્ય રીતે સમારકામ કરવા માટેની ખેડૂતોએ માંગ કરી છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ, વાલીયા અને ઝઘડિયા તાલુકાના આદિવાસી ગામોમાં આજે પણ ખેડૂતોએ સિંચાઈના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. પાંચ દશક જૂના બલદેવા-પીંગોટ અને ધોલી ડેમની કેનાલો તુટેલી અને જર્જરિત હાલતમાં હોવાથી,આશરે 5835 હેક્ટર જમીનમાંથી માત્ર 400 હેક્ટર સુધી જ પાણી પહોંચે છે.
સ્થાનિક ખેડૂતોની માંગ છે કે ત્રણેય ડેમની કેનાલોનું તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે અને ડેમોને ઉંડા કરીને તેમની પાણી સંગ્રહ ક્ષમતા વધારવી જોઈએ.હાલની સ્થિતિ મુજબ, બલદેવા અને પીંગોટ ડેમની કેનાલોની લંબાઈ અનુક્રમે 8150 મીટર અને 11027 મીટર છે, જ્યારે ધોલી ડેમની કેનાલ 6.23 કિ.મી. છે.
મૂળ સમસ્યા એ છે કે ડેમોમાં 80 ટકા સુધી માટી પુરાઈ ગઈ છે,જેના કારણે વરસાદી પાણી ભરાય તે પહેલાં જ ઓવરફ્લો થાય છે.સરકારે આ ડેમોને 100 ટકા ભરાયેલા તરીકે નોંધે છે, પરંતુ જમીન પરની હકીકત બિલકુલ જુદી છે.આ ઘટનાના પ્રત્યાઘાત રૂપે હવે સ્થાનિકો અને ખેડૂત સંગઠનો દ્વારા ડેમના ઉંડાણ અને કેનાલોના સમારકામ માટે સત્તાધીશોને રજુઆત કરવા તૈયાર થયા છે.
ટ્રાયબલ વિસ્તારો જેમ કે વાલિયા, ઝઘડિયા, નેત્રંગ અને સાગબારામાં કુલ ચારથી વધુ મોટા ડેમો આવેલા હોવા છતાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી. આ ગંભીર મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે.ઉકાઈ કેનાલ યોજના હેઠળ હવે ડેડીયાપાડા તાલુકાને સિંચાઈ માટે પાણી મળે તેવી શક્યતા છે. એટલું જ નહીં, કરજણ ડેમનું પાણી જે કોતરોમાં છોડી દેવામાં આવે છે, તેનું ધોલી ડેમ તરફ દિગ્દર્શન કરવામાં આવે તો 15થી વધુ ગામોના ખેડૂતોને સિંચાઈ અને પીવાનું પાણી મળી શકે.સાથે બલદેવા ડેમના પાણીનું પણ યોગ્ય આયોજન થવું જોઈએ, જેથી તે પાણી વેડફાઈ ન જાય અને ખેડૂતો માટે ઉપયોગી બની રહે.