-
રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જિલ્લા શાખા દ્વારા આયોજન
-
શહેરના પી.ડી. શ્રોફ રોટરી હોલ ખાતે કાર્યક્રમનું વિશેષ આયોજન
-
વિવિધ પ્રવૃત્તિઓના વિકાસ માટે ફંડ રેઇઝિંગ કાર્યક્રમનું આયોજન
-
ખ્યાતનામ પ્રજ્ઞાચક્ષુ કલાકારોએ તમામ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા
-
અંધજન ભવન અને પ્રજ્ઞાચક્ષુઓનો વિકાસ કરાશે : રા.અં. મંડળ
ભરૂચ-નર્મદા જિલ્લા શાખા દ્વારા રાષ્ટ્રીય અંધજન મંડળના નેજા હેઠળ ભરૂચના પી.ડી. શ્રોફ રોટરી હોલ ખાતે અંધજન ભવન તથા પ્રજ્ઞાચક્ષુઓ માટે વિવિધ પ્રવૃત્તિઓના વિકાસ માટે ફંડ રેઇઝિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના રેલવે સ્ટેશન રોડ સ્થિત પી.ડી. શ્રોફ રોટરી હોલ ખાતે ભરૂચ-નર્મદા જિલ્લા શાખા દ્વારા રાષ્ટ્રીય અંધજન મંડળના નેજા હેઠળ અંધજન ભવન તથા પ્રજ્ઞાચક્ષુઓ માટે વિવિધ પ્રવૃત્તિઓના વિકાસ માટે ફંડ રેઇઝિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખ્યાતનામ પ્રજ્ઞાચક્ષુ કલાકારો દ્વારા આત્માની ઊંડાણ સુધી સ્પર્શી જતાં ગીતો અને સંગીતના રજૂઆતો કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જોકે, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અંધજનોને આત્મનિર્ભર બનાવવાનો તથા તેમના સર્વાંગી વિકાસ માટે નાણાંકીય સહાય એકત્ર કરવાનો હતો. આ પ્રસંગે ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, અંધજન મંડળ ભરૂચ-નર્મદા જિલ્લા શાખાના પ્રમુખ ખુમાનસિંહ વાસિયા, મંત્રી પ્રદીપ પટેલ અને કમિટીના ચેરમેન તથા રિટાયર્ડ ડીવાયએસપી કૌશિક પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ પ્રજ્ઞાચક્ષુ કલાકારોને શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રોત્સાહન આપ્યું અને સમાજમાં તેમની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના કાર્યક્રમો ન માત્ર અંધજનો માટે નવી આશા સર્જે છે. પરંતુ સમગ્ર સમાજમાં સંવેદનશીલતા અને સહયોગ ભાવનાને પણ પ્રેરણા આપે છે.