ગણેશ મહોત્સવના સાતમા દિવસે શ્રીજીનું વિસર્જન કરાયું
જંબુસર-આમોદ નગરમાં શ્રીજીની વિસર્જન યાત્રા યોજાય
હજારો શ્રદ્ધાળુઓ વાજતે ગાજતે વિસર્જન યાત્રામાં જોડાયા
7 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજીને વિદાય અપાય
તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ નગરમાં પરંપરા મુજબ ગણેશ મહોત્સવના સાતમા દિવસે શ્રીજીની વિસર્જન યાત્રાઓ કાઢવામાં આવી હતી. 7 દિવસનું આતિથ્ય માણ્યા બાદ દુંદાળા દેવને વિદાય આપવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં કોટ દરવાજાથી આજરોજ સાતમા દિવસે શ્રીજીની વિસર્જન યાત્રાનો પ્રારંભ થયો હતો. આ વિસર્જન યાત્રા સોની ચકલા, પઠાણી ભાગોળ, રાણા સ્ટ્રીટ, ઉપલીવાટ સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ નાગેશ્વર તળાવ સુધી પહોંચી હતી. તો બીજી તરફ, આમોદ નગરમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ વાજતે ગાજતે વિસર્જન તળાવ ખાતે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. જોકે, સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તંત્રના અધિકારીઓ તથા તરવૈયાઓની સહાયથી શ્રીજીની પ્રતિમાઓનું વિધિવત રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વિસર્જન યાત્રામાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.