ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરદાર શોપિંગ સેન્ટરમાં વીજ થાંભલો જોખમી રીતે નમી પડ્યા બાદ આ જ સ્થાન પર મસમોટો ભુવો પડતા પાલિકા પ્રત્યે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
ભરૂચમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદની તોફાની બેટીંગ સામે શક્તિનાથ સર્કલ નજીક આવેલ સરદાર શોપિંગ સેન્ટર પાસે એક વીજ થંભો જોખમી રીતે નમી પડ્યો હતો. જોકે, વીજ કંપની દ્વારા નમી પડેલા થાંભલાને પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો હતો. પરંતુ વરસાદી પાણીના વધુ પડતા પ્રવાહના કારણે આજ જગ્યા પર ભુવો પડ્યો હતો. જેના કારણે સ્થાનિક દુકાનદારોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે પાલિકા તંત્ર સામે પણ સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઘટના અંગે ભરૂચ નગરપાલિકા દ્વારા ભુવાની જગ્યાને કોર્ડન કરીને તેને પુરવાની કામગીરી શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.