જિલ્લા ભાજપ દ્વારા યોજાઈ પત્રકાર પરિષદ
કમોસમી વરસાદમાં ખેડૂતોને થયું છે નુકસાન
ખેડૂતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જિલ્લા પ્રમુખ
ખેડૂતોને વહેલી તકે વળતર ચૂકવવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન સામે વહેલી તકે વળતર મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે,ત્યારે આ અંગે માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ પત્રકારોને સંબોધ્યા હતા. ખેડૂતોને થયેલ નુકસાન અને મુશ્કેલીઓ સંદર્ભે પત્રકાર પરિષદ યોજી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા બાબતે અવગત કર્યા હતા. કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાન બાબતે મુખ્યમંત્રી દ્વારા તમામ જિલ્લાના કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર અને તલાટી, ગ્રામસેવકોને સૂચના આપવામાં આવી છે. ભરૂચ જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થયું હોય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હર હંમેશ ખેડૂતોની પડખે ઉભી છે. જેથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાના સાંસદ, ધારાસભ્ય અને જિલ્લાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને પણ ખેડૂતો માટે ખડે પગે હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.
વધુમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અસાધારણ સંજોગોમાં પડેલા કમોસમી વરસાદ તેમજ તેની વ્યાપકતા જોઈ આવા સંજોગો જવલ્લેજ ઉભા થતા હોય છે.ખાસ સંવેદનાથી રાજ્યના ખેડૂતોના હિતમાં પાકને થયેલા નુકશાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરી, જરૂરી કાર્યવાહી કરી, કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે 3 દિવસમાં કામકાજ પુરુ થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત જ મોકલવામાં આવશે,અને તે માટે ચીફ સેક્રેટરી, એ.સી.એસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને સૂચના આપી હતી. જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારીને તુરંતમાં જાણ કરવા આદેશો આપ્યા હતા.તેથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે સહયોગ કરવામાં મદદરૂપ બની શકાય.
આ પ્રસંગે ભરૂચ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, મંત્રી દિવ્યજીતસિંહ ચુડાસમા, મંત્રી જીગ્નેશ મિસ્ત્રી, અંકલેશ્વર શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.