ભરૂચ: સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી દોરી જતો માર્ગ બન્યો અત્યંત બિસ્માર,વાહન ચાલકો ખખડધજ રસ્તાથી પરેશાન

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જતા માર્ગ પર પડેલા ખાડા અને ધૂળની ઉડતી રજકણોથી વાહન ચાલકો ખુબ જ ત્રાસદાયક રીતે આ માર્ગ પરથી પસાર થઇ રહ્યા છે જેથી કરીને વાહન ચાલકો ખખડધજ રસ્તાથી પરેશાન ઉઠયા છે

New Update
  • SOU માર્ગ બન્યો અત્યંત બિસ્માર 

  • ભરૂચથી ઝઘડિયા તરફ જવું પણ મુશ્કેલરૂપ બન્યું 

  • અંકલેશ્વરથી રાજપીપળા માર્ગ પર પડ્યા ખાડા 

  • રસ્તા પરના ખાડા અને ધૂળની ઉડતી ડમરીઓથી પરેશાની

  • મંથરગતિએ ચાલતી સમારકામની કામગીરીથી લોકોમાં રોષ   

ભરૂચ અંકલેશ્વરથી નર્મદા જિલ્લાના કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી દોરી જતા માર્ગને SOU માર્ગની ઓળખ આપવામાં આવી છે,જોકે વરસાદની મોસમ બાદ આ રસ્તો અત્યંત બિસ્માર બનતા વાહનચાલકો માટે પરેશાનીનું કારણ બન્યો છે.
નર્મદા જિલ્લાના કેવડિયા એટલે કે એકતાનગર ખાતે વિશ્વની સૌથી મોટી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે,અને સરકાર દ્વારા પણ વધુમાં વધુ પ્રવાસીઓ SOUની મુલાકાત લે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે,જોકે ભરૂચ અને અંકલેશ્વરથી SOUને જોડતા મુખ્ય કડીરૂપ માર્ગ વાહન ચાલકો માટે શિરદર્દ સમાન બની ગયો છે,ભરૂચ નેશનલ હાઇવેથી મુલદ ચોકડી અને ગોવાલી ગામ પાસેથી પસાર થઈને ઝઘડિયા તરફ જતા માર્ગ પર મસ્ત મોટા ખાડા પડવાના કારણે વાહન ચાલકો માટે માર્ગ પરથી પસાર થવું ભયજનક સાબિત થઇ રહ્યું છે.જ્યારે બીજી તરફ અંકલેશ્વરથી રાજપીપળા ચોકડીથી રાજપીપળા અને SOU સુધી પહોંચતા માર્ગના પણ ખસ્તાહાલ થઇ ગયા છે,માર્ગ પર પડેલા મોટા ખાડાને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.
ભરૂચ અને અંકલેશ્વરથી ઝઘડિયાનું અંતર લગભગ 15 થી 20 કિલોમીટરનો માર્ગ છે,સામાન્ય રીતે ઝઘડિયા સુધી વાહન દ્વારા પહોંચવામાં માત્ર 15 મિનિટનો સમય લાગે,પરંતુ અત્યંત બિસ્માર માર્ગને કારણે હાલમાં વાહન ચાલકોએ લગભગ કલાક સમયનો વેડફાટ કરીને જોખમી રીતે માર્ગ પરથી પસાર થઇ રહ્યા છે.જ્યારે ઝઘડિયાથી રાજપારડી અને ઉમલ્લા સુધીનો પણ રસ્તો બિસ્માર હોવાનું જાણવા મળ્યું છે.
હાલમાં આ SOU માર્ગનું સમારકામ કરવામાં આવી રહ્યું છે પરંતુ મંથર ગતિએ ચાલતી કામગીરીને પગલે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.માર્ગ પર પડેલા ખાડા અને ધૂળની ઉડતી રજકણોથી વાહન ચાલકો ખુબ જ ત્રાસદાયક રીતે આ માર્ગ પરથી પસાર થઇ રહ્યા છે.અને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે SOU માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ પણ વાહન ચાલકો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભરૂચ અને અંકલેશ્વરથી SOUને જોડતો આ માર્ગ માત્ર વર્તમાન સમયમાં જ નહીં પરંતુ દર વર્ષે માર્ગ વરસાદની મોસમમાં ખખડધજ બની જાય છે,ત્યારે હવે આ માર્ગ માટે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરીને માર્ગ ટકાઉ અને મજબૂત બનાવવામાં આવે તેવી માંગ પણ વાહન ચાલકો કરી રહ્યા છે. 
Read the Next Article

અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

New Update
ank

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

અંકલેશ્વર માં શુક્વારના રોજ એક વિચિત્ર ઘટનાએ  લોકોને દોડતા કરી દીધા હતા. અંકલેશ્વર વ્હોરવાડ ખાતે રહેતા ફારુખ નામનો માનસિક રીતે બીમાર વ્યક્તિ 2 મહિના પહેલા જ વડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા જોકે દવા બંધ થઇ જતા ફારુખ પુનઃ માનસિક બીમારીમાં આવી અભદ્ર વર્તન કરવાનું શરુ કરી દીધું હતું. ફળીયામાં નગ્ન ફરવા સાથે લાકડાની ડાંગ , કુહાડી ચપ્પુ લઇ નીકળી પડતો હતો. જેણે આજરોજ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કાસીમભાઈ પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને એક પછી એક 3 થી 4 ધા કરી દીધા હતા જેઓએ બુમાબુમ કરતા લોકો તેને પકડવા માટે દોડ્યા હતા જો કે લાકડાના ડંડા અને ચપ્પુ લઇ પકડવા આવતા લોકો પર પણ હુમલો કરતો હતો.અંતે ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા કાસીમભાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.