OTT પ્લેટફોર્મ પર રિલીઝ થનારી મહારાજ ફિલ્મનો દિવસે દિવસે વિરોધ વધી રહ્યો છે, ત્યારે ભરૂચ ખાતે વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ફિલ્મને બેન કરવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું.
તાજેતરમાં ચર્ચિત OTT પ્લેટફોર્મ પર રીલીઝ થનારી એક ફિલ્મ ચર્ચામાં છે. પરંતુ આ વખતે કારણ એ છે કે, વૈષ્ણવ સમાજના સંતો અને આગેવાનો અનુસાર, આ ફિલ્મ ભક્તોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાના ઉદ્દેશો સાથે બનાવમાં આવી છે. આથી તેઓ આ ફિલ્મનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આ ફિલ્મ 1862ના મહારાજ લાયબલ કેસ પર આધારિત છે, આ ફિલ્મની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ અને વલ્લભાચાર્યના અનુયાયીઓએ ફિલ્મ વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે.
જેમાં લખ્યું છે કે, ફિલ્મ મહારાજ જનમાનસ પર ખરાબ અસર છોડશે, અને આ ફિલ્મ હિંદુ ધર્મની પણ વિરુદ્ધ છે. ફિલ્મ મહારાજનું દિગ્દર્શન સિદ્ધાર્થ મલ્હોત્રા દ્વારા કરવામાં આવ્યું છે, અને યશરાજ બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ગત તા. 14 જૂને રિલીઝ થવાની હતી. પરંતુ હાલ વિરોધ વચ્ચે આ ફિલ્મ પર કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે. હાલ તો ફિલ્મના વિરોધમાં દેશભરમાં વૈષ્ણવ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભરૂચની લગભગ 25 જેટલી સંસ્થાઓના પ્રતિનિધિ તેમજ સભ્યો સહિત હિન્દુ સનાતન ધર્મ-ભરૂચના આગેવાનો દ્વારા બહુચર્ચિત મહારાજ ફિલ્મ અને પુસ્તક પર બેન કરવાની માંગ સાથે ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.