ભરૂચ:સાંસદ મનસુખ વસાવાની પોસ્ટથી રાજકીય ક્ષેત્રે ગરમાવો, આદિવસી પટ્ટીના રાજકારણમાં નવાજુનીના એંધાણ !

Featured | સમાચાર, ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ફરી એકવાર નારાજગી સામે આવી છે. તેઓએ ધારીખેડા સુગર ફેક્ટરી અને દૂધધારા ડેરીમાં પદાધિકારીઓની નિમણૂક

New Update
સાંસદ મનસુખ વસાવાની વધુ એક પોસ્ટ
પદાધિકારીઓની નિમણૂક બાબતે દર્શાવી નારાજગી
ધારીખેડા સુગર ફેકટરીમાં થઈ હતી વરણી
દુધધારા ડેરીમાં ડિરેકટરની નિમણૂક બાબતે નારાજગી વ્યક્ત કરી
પ્રદેશકક્ષાએ રજુઆત કરવાની કહી વાત
ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ફરી એકવાર નારાજગી સામે આવી છે. તેઓએ ધારીખેડા સુગર ફેક્ટરી અને દૂધધારા ડેરીમાં પદાધિકારીઓની નિમણૂકને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને આ બાબતે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચના પીઢ સાંસદ મનસુખ વસાવા તેમના આકરા અને આખાબોલા સ્વભાવના કારણે જાણીતા છે અનેકવાર તેઓના નિવેદનોના કારણે વિવાદો થતા આવ્યા છે ત્યારે તેઓએ વધુ એક પોસ્ટ સોશ્યલ મીડિયામાં મૂકી છે. સોશ્યલ મીડિયામાં લખેલ પોસ્ટમાં નર્મદા જિલ્લાની ધારીખેડા સુગર ફેક્ટરી અને ભરૂચની દૂધધારા ડેરીમાં પદાધિકારીઓની નિમણૂકને લઈને તેઓએ નારાજગી દર્શાવી છે. આ પોસ્ટમાં તેઓએ લખ્યું છે કે 15 દિવસ પહેલા ધારીખેડા સુગર ફેક્ટરીમાં સુનિલ પટેલને ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા અને 15 દિવસમાં જ કોઈપણ કારણ વગર ડિરેક્ટર પદેથી તેમને હટાવી દીધા છે જે યોગ્ય નથી તો આ તરફ જે વ્યક્તિએ પાર્ટી વિરુદ્ધનું કામ કર્યું છે અને ભ્રષ્ટાચાર તરીકેની છાપ ધરાવે છે ઉપરાંત હાલમાં જ ભાજપમાં આવ્યા છે તેવા વ્યક્તિને દૂધધારા ડેરીમાં નિમણૂક આપવામાં આવી છે તે અયોગ્ય છે .તેઓએ આદિવાસી આગેવાનની ડેરીમાં ડિરેક્ટર તરીકે નિમણૂક થાય તેવી માંગ કરી હતી અને આ બાબતે તેઓએ પ્રદેશ નેતૃત્વને રજૂઆત કરવાની વાત કહી છે.
મનસુખ વસાવાની નારાજગી બાબતે ચર્ચા ચાલી રહી છે કે લોકસભાની ચૂંટણી વખતે ભાજપમાં રહીને તેઓની વિરુદ્ધમાં જ કામ કરનાર આગેવાનને દૂધધારા ડેરીમાં ડિરેક્ટર બનાવતા તેઓએ રોષ વ્યક્ત કર્યો છે. એક સમયે આદિવાસીઓના મસીહા ગણાતા છોટુ વસાવા સાથે રહીને ભાજપને પડકાર આપનાર આગેવાનને હવે ડિરેક્ટરનું પદ આપી દેવાતા મનસુખ વસાવાનો રોષ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે ત્યારે આદિવાસી પટ્ટીમાં ચાલતા રાજકારણમાં કયા કયા નવા વળાંક આવે છે તે આવનારા સમયમાં જોવાનું રહેશે
આ અંગે ભરૂચની દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે કનેક્ટ ગુજરાત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ધારીખેડા સુગર ફેક્ટરીમાં સુનિલ પટેલની સરકારી નિયમો અનુસાર કસ્ટોડિયન તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને સરકારી નિયમો પ્રમાણે તેમને હટાવવામાં આવ્યા છે તો બીજી તરફ દૂધધારા ડેરીમાં ડિરેક્ટરની નિમણૂકને લઈને મનસુખ વસાવાએ ઉઠાવેલા સવાલ બાબતે તેઓએ જણાવ્યું હતું કે ડિરેક્ટરની જગ્યા ખાલી પડી હોય  પ્રકાશ દેસાઈની વરણી કરવામાં આવી છે અને આ જે પદ છે તેની સમય અવધી 6 માસ સુધીની છે જે બાદ ચૂંટણી યોજાશે
#MP Mansukh Vasava #Bharuch #political
Latest Stories